રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં ખરીદીનો માહોલ પણ જામ્યો છે. અમદાવાદ શહેરમાં પણ હાલ ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
ત્યારે તહેવારોની ખરીદી સમયે બજારમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અમદાવાદના મુખ્ય બજારોમાં ટ્રાફિકની અડચણ ન થાય તે માટે પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે.
તહેવારો સમયે સીટ બેલ્ટ, હેલમેટ કે ચાર રસ્તે ટ્રાફિકના નિયમો તોડતા લોકો પર 2300 જેટલા CCTV કેમેરા થકી ચાંપતી નજર રખાશે.
તો ફૂલ સ્પીડમાં વાહન દોડાવતા લોકોને ઝડપી પાડવા 5 સ્પીડગન અને ઈન્ટરસેપ્ટર વાન પણ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત રખાશે. સાથે જ અમદાવાદમાં તહેવારોમાં ટ્રાફિકના સરળ સંચાલન માટે 2 DCP, 5 ACP, 2293 ટ્રાફિક કર્મચારી તૈનાત રહેશે. આ ઉપરાંત 1800 TRB જવાન અને 253 હોમગાર્ડની મદદ લેવાશે.
બીજીબાજુ આતંકી હુમલાની દહેશતને લઈ ભીડભાડવાળા વિસ્તાર, મોલમાં પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે. પોલીસે શહેરમાં સઘન ચેકિંગની સાથે જ મોલના સંચાલકો, ખાનગી સિક્યુરિટીના મેનેજરો, આંગડીયા પેઢીના માલિકો સાથે બેઠકો યોજી હતી.
વેપારીઓ અને ગ્રાહકોને તાકીદ કરવામાં આવી છે કે, કોરોનાની બન્ને રસીના ડોઝ લીધાના સર્ટિફિકેટ ફરજિયાત સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત લાલદરવાજા, રિલીફ રોડ, પાનકોરનાકા, સી.જી.રોડ અને મણિનગર જેવી ભીડભાડવાળા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓનું પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ કરશે.