અહેવાલ રીતેશ પરમાર
સુરત તા. 16 ઝીંગા તળાવ ફાળવણીના મહેસુલના ભાડાનો દર પ્રથમ ત્રણ વર્ષ માટે પ્રતિ હેક્ટર રૂ.૧૦૦૦/- છે જેથી પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન ભાડાનો દર કુલ રૂ.૫૦૦૦/- થાય છે જેની સામે પટ્ટેદારો દ્વારા પૂરતી રકમ મહેસુલ ભરેલ હોય એવું લાગતું નથી. મોટાભાગના પટ્ટેદારો દ્વારા પ્રથમ ત્રણ વર્ષ માટે ભાડું માત્ર રૂ.૧૦૦૦/- ભરેલ છે. ત્રણ વર્ષ બાદ ભાડાનો દર પ્રતિ હેક્ટર રૂ.૫૦૦૦/- છે જેથી નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૩ દરમ્યાન ભાડાનો દર કુલ રૂ.૨૫,૦૦૦/- થાય છે. જે પણ માત્ર એક જ પટ્ટેદાર દ્વારા મહેસુલ ભરેલ છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ નું મહેસુલ એક પણ પટ્ટેદાર દ્વારા ભરેલ નથી એવી માહિતી જાણવા મળેલ છે. વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી દર્શન નાયક જણાવે છે કે,જમીન ફાળવણીની શરત મુજબ મહેસુલ પૂરેપૂરું અને સમયસર મહેસુલ ન ભરી સરકારી તિજોરી ને પણ આર્થિક નુકશાન પહોચાડેલ છે.
બોરિંગના પાણી પર પ્રતિબંધ છતાં છુટથી ઉપયોગ : દર્શન નાયક
આ ઉપરાંત ઝીંગા ઉછેર માટે બોરિંગ કરી ગ્રાઉન્ડ વોટર લેવા ઉપર પ્રતિબંધ હોય આ નિયમનું ઉલ્લંઘન કરવાથી જમીન ફાળવણી રદ કરવામાં આવશે એવું સ્પષ્ટ પણે ઉલ્લેખ કરેલ છે તેમ છતાં કેટલાક પટ્ટેદારો દ્વારા આ શરતનો ભંગ કરી બોરિંગ કરી ગ્રાઉન્ડ વોટર નો ઉપયોગ પણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે જે હાલ પણ સ્થળ પર જોઈ શકાય છે. ભારત સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર એકટ ૨૦૦૫ હેઠળ જિલ્લા કોસ્ટલ એક્વાકલ્ચર સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર તથા સમિતિના સભ્ય સચિવ જિલ્લા ફિશરીઝ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર છે અને તેમણે ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને નીતિ નિયમો વિરુદ્ધ ન થાય તથા લાયસન્સ લીધા વિના કોઈ કાર્યવાહી ન થાય તે જોવાની અને ધ્યાન રાખવાની ફરજ અને જવાબદારી રહે છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. સુરત જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર દેખાડો કરવાનું બંધ કરે અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને કરવામાં આવતું નુકશાન પણ અટકે એ માટે જરૂરી પગલાં સત્વરે લેવામાં આવે એજ સુરત જિલ્લાના લોકો, ખેડૂતોના હિતમાં છે.
જિલ્લા કલેક્ટર ‘માખી’ માર: દર્શન નાયક..
વર્ષે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ઝીંગા ઉછેર પ્રવૃત્તિ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા હેઠળ રચાયેલી એક્વાકલ્ચર સમિતિમાં જિલ્લા કલેક્ટર બાયડિફોલ્ટ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ સોનાની મુરત સમા સુરતમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ખેડૂતો પર તેમનો ધ્યાન નથી. અબજો રૂપિયાનું મુલ્ય ધરાવતી જમીનના કડદાં કરવા માટે કલેક્ટરેટના અધિકારીઓ ગમે તે હદ પાર કરતા પણ ખચકાતા નથી. તાજેતરમાં જ સુરતના એક પૂર્વ કલેક્ટર સામે સસ્પેન્શનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. નવા કલેક્ટરે પણ તેમના જ એક નિર્ણયને ફેરવી તોળતા પોતાની ખુરશી બચાવવાનું કામ કર્યું હતું. હવે, એક્વાકલ્ચર સમિતિ સરકારી તિજોરીને લાભ પહોંચે તેવું કામ કરે તે રાજ્યના હિતમાં રહેશે. માછલી પકડવા માટે દરિયા ખેડતા લોકોને માછીમાર કહેવામાં આવે છે પરંતુ સત્તા હોવા છતાં કોઈ કામ ન કરી શકે તેને માખી માર તરીકે ઓળખવામાં આવે છે.
બ્યુરોક્રેટ્સની સીધી સંડોવણી દર્શન નાયક
જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા એકવાકલ્ચર સમિતિના અધ્યક્ષ હોવા છતાં અને જાણતા હોવા છતાં કે આ જગ્યાએ ઝીંગા ઉછેર પ્રતિબંધિત છે તો પણ ફિશરીઝ વિભાગના દુર્લક્ષમાં આવી ખોટી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી જમીનો ફાળવે છે અને તેના પર ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલવા દેવામાં આવી છે. જે ખુબ નિંદનીય છે અને સીઆરઝેડ અધિનિયમ તેમજ કોસ્ટલ એકવાકલ્ચર એક્ટ ૨૦૦૫નો ખૂલેઆમ ભંગ છે. ઝીંગાના આ ધીકતાં ધંધામાં ઓલપાડ મામલતદાર, ચોર્યાસી મામલતદાર, નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત, ફિશરીઝ વિભાગ, ડીજીવીસીએલ, સિંચાઈ વિભાગ સહિત તમામ સરકારી તંત્રના અધિકારીઓની મિલિભગત હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. જેથી આ ગંભીરતાની નોંધ લઇ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી ઝીંગા માફિયાઓની સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી છે.




Total Users : 22
Total views : 89
Who's Online : 0