
અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
ગાંધીનગર: પોલીસ વિભાગના માથેથી હજુ જૂના આઘાત ઓસર્યા નથી, ત્યાં પાટનગરના પોલીસ બેડાને ધ્રુજાવી દેતી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) માં ફરજ બજાવતા આશાસ્પદ યુવા કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ માણસાના હરણા હોડા ગામે આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સવારે પિતા જ્યારે પુત્રના રૂમમાં પહોંચ્યા ત્યારે સામે આવેલું દ્રશ્ય જોઈને તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. આ આકસ્મિક પગલાથી ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
એક અકસ્માત અને કાયમી અક્ષમતાનો ડર:-
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, નરેન્દ્રસિંહ થોડા સમય પહેલાં એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં તેમના જમણા હાથમાં ગંભીર મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા. લાંબી સારવાર છતાં હાથ સંપૂર્ણ સાજો ન થતાં તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરનાર આ જવાનને ક્યાંકને ક્યાંક પોતાની શારીરિક મર્યાદા અને નોકરીના ભવિષ્યને લઈ ઊંડો આઘાત લાગ્યો હતો, જે અંતે આત્મઘાતી પગલામાં પરિણમ્યો હોવાની આશંકા છે.
પોલીસ તપાસ અને રહસ્ય:-
ઘટનાની ગંભીરતાને જોતાં માણસા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને કોલ ડિટેલ્સ તેમજ છેલ્લા મેસેજીસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.






Total Users : 9727
Total views : 11387
Who's Online : 0