
વાહન વ્યવહારની ખુલ્લી દાદાગીરી અને બેજવાબદારી પૂર્વક લીધેલા નિર્ણયના કારણે લગભગ 10 લાખ જેટલાં વાહનોને એક સાથે બ્લેક લિસ્ટ કરાતા વાહનના માલિકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેથી આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શન નાયકે આ નિર્ણયનો ભારે વિરોધ કરી નારાજગી દર્શાવી છે. સાથે સાથે વાહન વ્યવહાર દ્વારા લેવાયેલ ખોટા નિર્ણયનો ભારે વાંધો ઉઠાવતા દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને તાત્કાલિક પત્ર લખી કસૂરવારો સામે જલ્દ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમગ્ર બાબતે વધુ સ્પષ્ટતા કરતા દર્શન નાયકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખરીદેલા વાહનોની નોંધણી કર્યા બાદ માલિકોના નામે થયા પછી આશરે દશ લાખથી વધુ વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અમારાં પોતાની માલિકીના વાહન સહિતના છેલ્લા અઢી વર્ષમાં નોંધણી કરી પોતાના નામે કરેલ તમામ વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવતા વાહનચાલકો દોડતા થઈ ગયા છે.
બ્લેક લિસ્ટ થયેલ અમારા માલિકીના વાહન સહિત અન્ય તમામ વાહનો ના માલિકોને કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ નોટિસ પણ આપવામાં આવેલ નથી તથા વહીવટી તંત્રની ભૂલના કારણે અમારા સહિત તમામ વાહન માલિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે,ત્યારે કેટલીક બાબતોને લઈ કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને પત્ર લખી ન્યાયની માંગ કરી છે.

દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નીચે મુજબની માહિતી આપી સમગ્ર બાબતે અવગત કર્યા…
૧ લી એપ્રિલ ૨૦૨૧ પછી ખરીદાયેલી કાર,ટ્રક, બસ અને ટેમ્પો સહિતના વ્હીકલ ની હંગામી ફીમાં વધારો કરાયો હતો જ્યારે ટુ-વ્હીલર ની ફીમાં ઘટાડો કરાયો હતો. હવે હંગામી ફીમાં કરાયેલા વધારાની અમલવારી કરાવવાનું છેક અઢી વર્ષ પછી ભાન થતાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સોફટવેરમાં જરૂરી ફેરફાર કરી દીધા હતા. જે વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવેલ તે તમામ વાહન માલિકો દ્વારા વાહન ખરીદી કરતી વખતે ડીલરો મારફત વાહનના રજીસ્ટ્રેશન માટે જરૂરી સરકારના નીતિનિયમો મુજબનાં તમામ વેરા ભરપાઈ કરી દેવામાં આવેલ હતા. તેમ છતાં સ્થાનિક સમાચાર પત્રો દ્વારા મળેલ માહિતી તથા સ્થાનિક લોકો દ્વારા અમોને રૂબરૂમાં કરવામાં આવેલ રજૂઆત મુજબ નવા વાહન ટેમ્પરરી રજીસ્ટ્રેશન ફીમાં થયેલ સુધારા-વધારાનાં અમિલકરણમાં વાહનવ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા થયેલ ભૂલ અને બેજવાબદારી ના કારણે ગુજરાતમાં આશરે દશ લાખથી વધુ વાહનવ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે. જે કુદરતી ન્યાય ને સુસંગત નથી.
તો બીજીતરફ દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યુ હતું કે નજીવી રકમ અને વાહનવ્યવહારના જવાબદાર અધિકારીઓની દ્વારા જે વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે તેને કારણે નિર્દોષ વાહન માલિકો ભોગ બની રહ્યા છે.તથા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો,સેવાભાવિ સંસ્થાના પ્રમુખો તથા ટ્રસ્ટીઓ સહિતના જાહેર જીવનના સાથે જોડાયેલા વાહનોના માલિકોની પ્રતિષ્ઠા ને પણ ઠેસ પહોંચી છે.
જેથી મુખ્યમંત્રી સાહેબ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત વાહનવ્યવહાર વિભાગ દ્વારા નોંધણી થાય બાદ જે વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે,તેમાં જો કોઇ ભૂલ હોય તો તે,જે તે સમયનાં વાહનવ્યવહારનાં જવાબદાર અધિકારીની છે.જેથી આ તમામ બાબતની તપાસ કરવામાં આવે તથા જે અધિકારીની ભૂલ માલૂમ જણાય તેમને સસ્પેન્ડ કરવામાં આવે તથા વાહન માલિકો પાસે જે રકમ વસૂલ કરવાની બાકી રહી ગયેલ છે તે રકમ જે તે જવાબદાર અધિકારી પાસે વસૂલ કરવામાં આવે એવી અમારી લોકો વતી લોકહિતમાં માગણી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0