
બારડોલી : સુરત જિલ્લાની બારડોલી તાલુકા પંચાયતમાં આચરવામાં આવી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને ખાસ કરીને શાળાઓમાં લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડના કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મોરચો લઈને બારડોલી તાલુકા પંચાયત કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે બારડોલી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી હતી.
બારડોલી તાલુક પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવક હાજર ન હોય તેમની જગ્યાએ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિલેષ મહેતાને આવેદનપત્ર આપતા કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે રોષ સાથે જણાવ્યુ હતું કે, બારડોલી તાલુકા પંચાયતમાં હોદ્દેદારો અને અધિકારીઓની મિલીભગતમાં કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેમણે તાલુકા પંચાયતના સ્વ-ભંડોળમાંથી તાલુકાની 22 શાળાઓમાં 66 લાખના ખર્ચે લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડમાં ભ્રષ્ટાચાર આચારવારમાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. શાળામાં આપવામાં આવેલ એક સ્માર્ટની કિંમત અંગે શંકા વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે સ્માર્ટ બોર્ડની કિંમત ત્રણ લાખ રૂપિયા કઈ રીતે હોય શકે? સામાન્ય રીતે આવા સ્માર્ટબોર્ડ એક લાખ રૂપિયા સુધીમાં આવતા હોય છે. આવેદનપત્રમાં સ્માર્ટ બોર્ડ બાબતે તટસ્થ સમિતિ બનાવી તપાસ કરવા માગ કરી છે. આ ઉપરાંત કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જેમાં આ સ્માર્ટ બોર્ડ બાબતે ટેન્ડર કેટલા રૂપિયાના બહાર પાડવામાં આવ્યા?, વહીવટી મંજૂરી કોના ધ્વારા આપવામાં આવી?, કઈ એજન્સી મારફતે સ્માર્ટ બોર્ડ ખરીદી કરવામાં આવ્યા?, સ્માર્ટ બોર્ડના ભાવ પત્રકો અન્ય એજન્સી પાસે મગાવવામાં આવેલા કે કેમ સહિતના પ્રશ્નોની ઝીણવટ ભરી તપાસની માગ કરવામાં આવી છે. બારડોલી તાલુકા પંચાયતના સ્વ-ભંડોળ અને જિલ્લા પંચાયત તેમજ સરકારની તમામ યોજનાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ કામની ગુણવત્તા અને વહીવટી બાબતની તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરુણ વાઘેલાએ પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા એડ્વાન્સ કામો બાબતે રજૂઆતો કરી આવા કામોનું ચૂકવણું અટકાવવા જણાવ્યુ હતું. આવેદનપત્ર આપવા માટે મહિલા અગ્રણી સ્વાતિ પટેલ, સુનિલ પટેલ, રાકેશ પરમાર, તુષાર વણકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલુકામાં ગ્રાન્ટની ફાળવણી કરી વહીવટી કામગીરી ઉપર ધ્યાન અને તકેદારી રાખવાની અને જો કોઈ વહીવટી ખામી જણાય તો તેની તપાસ કરવાની જવાબદારી જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની હોય છે. પરંતુ આ કથિત કૌભાંડની તપાસ બાબતે બારડોલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિતમાં ફરિયાદ માગવામાં આવે છે. એટલું જ નહીં ભૂતકાળમાં બારડોલી તાલુકામાં રસ્તાઓને થયેલ વ્યાપક નુકસાન અને રામપુરા ગામના સરપંચના આપઘાત મામલે ફરિયાદ છતાં બારડોલી તાલુકા પંચાયતના અધિકારી અને પદાધિકારીની કામગીરી હમેશા વિવાદાસ્પદ રહી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0