
અહેવાલ – નિલેશ ઘાંઘેકર (ચીફ બ્યુરો )
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લડાયક મહામંત્રી તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન અને ઝૂઝારું નેતા શ્રી દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને તાત્કાલિક પત્ર લખીને સુરત જિલ્લાના પલસાણા ખાતે થયેલ 4 કામદારોના મોત મામલે સુરત જિલ્લા પોલીસની ભ્રષ્ટ અને શંકાસ્પદ કામગીરી સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. પત્રમાં દર્શન નાયક જણાવે છે કે સ્થાનિક પોલીસ અને અમુક પોલીસ અધિકારીઓ કંપનીના માલિકોને આ ઘટનામાં છાવરી રહ્યા છે. કસૂરવાર માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનાં બદલે તેમને છૂટો દોર આપી દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવાર સાથે અન્યાય કરી રહ્યા છે. તો બીજીતરફ દર્શન નાયક જણાવી રહ્યા છે કે આ ઘટનામાં કસૂરવાર કંપનીના માલિકો સામે કાયદેસર રીતે ગુનો નોંધી તેમની સામે તરત એક્સન લેવામાં આવે અને પીડિતોને ન્યાય અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી સભ્ય સમાજમાં યોગ્ય દાખલો બેશે.

શુ છે સમગ્ર મામલો વાંચો વિગતવાર માહિતી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે બ્લોક નં. ૩૧૪ ના પ્લોટ નં. ૨૧૪ થી ૨૨૬ માં કિરણ ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ છે. કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં તા: ૧૪ મી નવેમ્બરના રોજ કંપનીના વેસ્ટ વોટર નિકાલ માટે બનાવેલ EFT પ્લાન્ટમાં ટાંકીની સાફ-સફાઇ કરવા માટે ૪ કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવેલ હતા. આ ટાંકીની સાફ-સફાઇ દરમિયાન આ ૪ કામદારોનું શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયેલ હતું. જેને લઈને અમો દ્વારા તા: ૧૬/૧૧/૨૦૨૩ ના રોજ લેખિતમાં મૃત્યુ પામેલ કામદારોને વળતર ચૂકવવા, બેદરકાર કંપનીના માલિકો/સંચાલકો સામે ગુનો દાખલ કરી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ કિરણ ઈન્ડસ્ટ્રીઝની અન્ય બેદારકારીઓ અને પર્યાવરણીય કાયદાની જોગવાઈઓના ભંગ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત/ફરિયાદ કરેલ હતી.
વધુમાં આપને જણાવવાનું કે ૧૪ મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ કામદારોના મૃત્યુની ઘટના બનેલ હતી. સદર ઘટના બની તે સમયે કંપનીના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે હાજર ન હતા. તેમજ સેફટી માટેના જરૂરી ટૂલ્સ અને સાધનો પણ આ કામદારોને આપવામાં આવેલ ન હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે કે આ ૪ કામદારોના મૃત્યુ કંપનીના માલિકો/સંચાલકોની ગંભીર બેદરકારીને કારણે જ થયેલ છે. સદર ઘટના અન્વયે ફેક્ટરી ઇન્સપેક્ટરે પલસાણા પોલીસને તેમનો અભિપ્રાય મોકલી આપેલ હતો. તેમ છતાં પલસાણા પોલીસ તંત્ર દ્વારા કોઈ જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ ન હતી કે કોઈપણ ગુનો નોંધવામાં આવેલ ન હતો. ત્યારબાદ ઘટનાના ૧૦ દિવસ બાદ પલસાણા પોલીસ દ્વારા કંપનીના મેનેજરો અને ૨ ઇન્ચાર્જ સામે જ ગુનો નોંધવામાં આવેલ હતો. પરંતુ, કંપનીના માલિકો આ ૪ કામદારોના મૃત્યુ અન્વયે સીધેસીધા જવાબદાર હોય આજદિન સુધી કંપનીના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ નથી અને કંપનીના માલિકોને આ સમગ્ર પ્રકરણથી અલાયદા રાખવામાં આવેલ છે. જેને લઈને લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા આ કંપનીના માલિકોને બચાવવાના પ્રયાસો થઈ રહેલ છે. જે ખૂબ જ દુ:ખની બાબત છે. અને વહીવટી તંત્રની અને પોલીસ તંત્રની કામગીરી તથા તપાસ કરવાની કાર્યવાહી ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જેથી યોગ્ય દિશામાં તપાસ થાય એવી લોકહિતમાં આપ સાહેબને નીછે મુજબની માંગણીઓ અને રજૂઆતો છે.

દર્શન નાયકે પત્ર લખી કઈ કઈ માંગણીઓ કરી અને શુ હતી તેમની રજુઆત
- બલેશ્વર ગામ ખાતે નોન-પોલ્યુટએડ એરિયામાં ડાઇંગ મિલને પરવાનગી આપવામાં આવેલ છે. જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે એવું અમોને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે . જેની પરવાનગી અંગે પણ તપાસ કરાવવામાં આવે.
- આ ભૂગર્ભ ટાંકીમાં જે કેમિકલ ભરેલ હતું તેનો ઉલ્લેખ/માહિતી ફેક્ટરી ઇન્સપેક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રમાં છે કે નહી તેની પણ તપાસ કરાવવામાં આવે.
- ફેક્ટરી ઇન્સપેક્ટર દ્વારા અને અન્ય સક્ષમ ઓથોરિટીઓ દ્વારા ડાઇંગ કરવા માટેના કેટલા મશીનોને પરવાનગી આપવામાં આવેલ છે અને કેટલા મશીનો વિના પરવાનગી ચલાવવામાં આવી રહેલ છે તેની પણ ઝીણવટપૂર્વક તપાસ કરાવવામાં આવે.
- કિરણ ઇન્ડસ્ટ્રીઝનું બાંધકામ અંદાજિત ૩ માળ આર. સી. સી. અને ૧ માળ પતરાનો શેડ એમ તમામની તપાસ ફેક્ટરી ઇન્સપેક્ટર દ્વારા કરવામાં આવેલ છે કે કેમ? ફેક્ટરી ઇન્સ્પેકટરના અહેવાલમાં બાંધકામની બાબતોનો ઉલ્લેખ છે કે કેમ તે અંગે પણ તપાસ કરાવવામાં આવે.
- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ભૂગર્ભ ટાંકીની મુલાકાત લીધેલ છે કે કેમ કે પછી જીપીસીબીના અધિકારીઓથી આ ભૂગર્ભ ટાંકીની માહિતી કંપનીના માલિકો દ્વારા છુપાવવામાં આવેલ છે કે પછી આ ભૂગર્ભ ટાંકી અંગેનો રેકર્ડ જીપીસીબી પાસે છે કે નહીં તેની પણ યોગ્ય તપાસ કરાવવામાં આવે.
- બલેશ્વર ગામ એ તા: ૧૫/૧૨/૨૦૧૫ થી સુરત શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થયેલ છે. જેથી બાંધકામ કરતાં પહેલા સુરત શહેરી વિકાસ સતત મંડળની આગોતરી પરવાનગી લેવાની રહે છે. આથી, કિરણ ઇન્ડસ્ટ્રીઝને બાંધકામની પરવાનગી સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આપવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ કરાવવામાં આવે એવી અમારી માંગ છે.
- ૪ મૃતક કામદારોમાંથી વર્તમાન પત્રોમાં છપાયેલ માહિતી મુજબ ૧ મૃતક કામદારની ઉંમર ૧૮ વર્ષથી નીચે હોય એમ જણાવેલ છે. આમ, કંપની દ્વારા કયા કાયદા અથવા નીતિનિયમો હેઠળ આ કામદારને નોકરી ઉપર રાખવામાં આવેલ હતો અને સેફટી વિના ભૂગર્ભ ટાંકીમાં ઉતારવામાં આવેલ હતો તેની પણ તપાસ કરાવવામાં આવે.
- કોઈપણ પ્રકારના સેફટીના યોગ્ય સાધનો વિના જ આ ૪ કામદારોને કિરણ ઈન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા ભૂગર્ભ ટાંકીમાં ઉતરતા ગેસને કારણે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ. પરંતુ, પલસાણા પોલીસ તંત્ર દ્વારા ફક્ત કિરણ ઈન્ડસ્ટ્રીઝના મેનેજર અને ૨ ઇન્ચાર્જ ઉપર જ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પરંતુ, આ ૪ કામદારોના મૃત્યુ માટે કિરણ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સીધેસીધા જવાબદાર બને છે. આથી અમારી આપ સાહેબને માંગ છે કે કિરણ ઈન્ડસ્ટ્રીઝના માલિકો ઉપર પણ ભારતીય દંડ સંહિતની કલમ ૩૯૯ હેઠળ કલ્પેબલ હોમિસાઇડનો ગુનો નોંધી એફઆઇઆર દાખલ કરવામાં આવે એવા આદેશ ઉચ્ચ કક્ષાએથી આપવામા આવે એવી અમારી આપ સાહેબને માંગ છે.
- “ધી ફેક્ટરી અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૩૬ (૧) મુજબ કોઈપણ વ્યક્તિને કોઈપણ ફેક્ટરીમાં કોઈપણ ચેમ્બર, ટાંકી, વાટ, ખાડો, પાઈપ, ફ્લૂ અથવા અન્ય મર્યાદિત જગ્યામાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે કે જ્યાં કોઈપણ ગેસ, ધુમાડો વરાળ અથવા ધૂળ હોય. તે એટલી હદે હાજર રહેવાની શક્યતા હોય કે તેના દ્વારા વ્યક્તિઓ પર કાબુ મેળવવામાં જોખમ સામેલ હોય, સિવાય કે તેને પર્યાપ્ત કદના મેનહોલ અથવા બહાર નીકળવાના અન્ય અસરકારક માધ્યમો આપવામાં આવ્યા હોય. તેમજ “ધી ફેક્ટરી અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૩૬ (૨) મુજબ કોઈ પણ વ્યક્તિને પેટા-કલમ (1) માં ઉલ્લેખિત કોઈપણ મર્યાદિત જગ્યામાં પ્રવેશવાની જરૂર રહેશે નહીં, જ્યાં સુધી કોઈપણ ગેસ, ધુમાડો, વરાળ અથવા ધૂળને દૂર કરવા માટેના તમામ વ્યવહારુ પગલાં લેવામાં આવેલ ન હોય, અને આ પદાર્થોના સ્તરને અનુમતિપાત્ર મર્યાદામાં લાવવામાં આવેલ ન હોય અને આવા ગેસ, ધૂમાડો, વરાળ અથવા ધૂળના કોઈપણ પ્રવેશને રોકવા માટે એક સક્ષમ વ્યક્તિ દ્વારા લેખિતમાં પોતે કરેલા પરીક્ષણના આધારે પ્રમાણપત્ર આપવામાં આવેલ છે કે જગ્યા જોખમી ગેસ, ધુમાડો, વરાળ અથવા ધૂળથી મુક્ત છે, અથવા આવી વ્યક્તિએ યોગ્ય શ્વાસ લેવાનું ઉપકરણ અને દોરડા સાથે સુરક્ષિત રીતે જોડાયેલ બેલ્ટ પહેર્યો છે કે નહીં જેનો મુક્ત છેડો મર્યાદિત જગ્યાની બહાર વ્યક્તિ દ્વારા પકડાયેલ હોય.
આમ, કંપની માલિકો દ્વારા ફેક્ટરી અધિનિયમની જોગવાઈઓનો પણ ખુલ્લેઆમ ભંગ કરવામાં આવેલ છે. જેની જે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કંપની માલિકોને જવાબદાર ઠેરવી ન્યાયના હિતમાં જરૂરી કાર્યવાહી લોકહિતમાં કરવામાં આવે એવી અમારી માંગ છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0