
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટી.પી સ્કીમ ૯૬ (બી) અમલ માટે તારીખ ૨૬/૫/૨૦૨૨ ના રોજ છારાનગર રોડ – કુબેરનગરમાં વસવાટ કરતા રહીશોને નોટીસો આપેલ છે. અ.મ્યુ.કો દ્વારા ઉપરોક્ત જગ્યાએ કોર્પોરેશનના અધિકૃત સર્વેયર દ્વારા હદનું માર્કિંગ કરવામાં આવેલ છે. અને માર્કિંગ અર્થે કોઈને વાંધા હોય તો તેના માટે ખુલાસો કરવા પણ કહેવામાં આવ્યું છે.
છારાનગર રોડ – કુબેરનગર વિસ્તારના રહીશો દ્વારા ૯૦ જેટલી વાંધા અરજીઓ અગાઉ આસી.એસ્ટેટ ઓફિસર / આસી.ટી.ડી.ઓ – ઉત્તર ઝોન -અ.મ્યુ.કો, મેમ્કો ઓફિસે દાખલ કરવામાં આવેલ છે. આ વાંધા અરજીઓ મુખ્યત્વે અ.મ્યુ.કો દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં રહેતા રહીશો સાથે કરવામાં આવેલ જાતીય ભેદભાવ અને કોર્પોરેશનની બેવડી નીતિ સામે કરવામાં આવેલ છે. જેથી સ્થાનિક રહીશોને મદદરૂપ થવા અને અમદાવાદ મ્યુનિસિપલની ભેદભાવની નીતિ વિરૃદ્ધ કાયદેસરની લડત લડવા અમદાવાદના લડાયક અને ઝૂજારું એડવોકેટ શમશાદખાન પઠાણ અને ઇમ્તિયાઝ ખાન પઠાણના નેતૃત્વ હેઠળ રાજીવગાંધી ભવન મેમ્કો ખાતે વાંધા અરજી મુકવામાં આવી હતી.

સ્થાનિક રહીશોનું માનવું છે કે, ઉપરોક્ત વિભાગના સર્વેયર દ્વારા પૂર્વગ્રહ રાખી માર્કિંગ કર્યું છે. તેમણે રોડની સેન્ટર સાઈડને અવગણી લોકોના ઘરના મુખ્ય દરવાજા થી ટી.પી ના અમલ માટે માર્કિંગ કર્યું છે. ઉપરાંત રોડની એક સાઈડ ૧૮ ફુટ માર્કિંગ છે તો બીજી સાઈડ ૫ ફુટ માર્કિંગ છે. છારાનગરના રહીશો જ્યાં રહે છે ત્યાં ૧૮ થી ૨૦ ફુટ નું ટી.પી માર્કિંગ છે અને સામે ની રોડ સાઈડ પર જ્યાં અન્ય જ્ઞાતિના લોકો રહે છે ત્યાં ૫ ફુટ થી પણ ઓછું માર્કિંગ છે જે અ.મ્યુ.કો સર્વેયરનું પૂર્વગ્રહયુક્ત કાર્ય છે. તેમજ સદર રોડ સીધો નથી પણ વળાંક વાળો છે તેમ છતાં સર્વેયરે રોડ સીધો છે તેવી ધારણા બાંધી સીધે સીધું માર્કિંગ કર્યું છે. જેનાથી રહીશોના તમામ મકાન કપાતમાં લઇ શકાય. જેથી કહી શકાય કે આ સર્વેયરની ખુલ્લેઆમ દાદાગીરી છે.

અ.મ્યુ. કો દ્વારા પહેલા જે માર્કિંગ કર્યું હતું તે ખૂબ ઓછું હતું અને હાલમાં જે માર્કિંગ કર્યું છે જે ખૂબ વધારે છે. તેથી કોર્પોરેશન ઉપરોક્ત વિસ્તારના રહીશો સાથે અન્યાય કરી રહી છે. તેથી તેઓ ઘર વિહોણા થઇ શકે. ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરતા લોકો મુખ્યત્વે વિમુક્ત જ્ઞાતીના લોકો છે જેમના વડવાઓ વિચરતું જીવન જીવતા હતા. ત્યારબાદ સેટલમેન્ટ એક્ટ ઈ.સ.૧૮૭૧ હેઠળ તેઓને વર્ષો સુધી નજરકેદમાં રાખવામાં આવેલા અને ઈ.સ.૧૯૫૨ માં સેટલમેન્ટ એક્ટ નાબુદ થતા તેઓને સ્વતંત્ર કરવામાં આવેલા ત્યારથી તેઓ ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરે છે. હાલમાં જો તેમના મકાનો કપાતમાં જતાં રહેશે તો તેઓ ફરીથી વિચરતું જીવન જીવવા મજબુર બની જશે. જેથી આ સંદર્ભમાં સ્થાનિક રહીશો દ્વારા ગુજરાતનાં યુવા અને નામાંકિત એડવોકેટ શમશાદખાન પઠાણ અને ઇમ્તિયાઝ ખાનનો સંપર્ક કરી સમગ્ર બાબતે સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોએ કોર્પોરેશનની ભેદભાવવાળી અને બેવડી નીતિ સામે કાનૂની લડત આપવાનો નિર્ણય લીધો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 1