
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. જાણે આ ઇસમોના મનમાં કાયદો અને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવું લાગે છે. પોલીસના ચોપડે હત્યા, ચોરી અને લૂંટ જેવા ગુનાઓ નોંધાતા રહે છે. ત્યારે જુનાગઢમાં કેટલાક ઇસમોએ વકીલના ઘરમાં ઘૂસીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વકીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ઘટના સ્થળ નજીક લાગેલા CCTV કેમેરાન ફૂટેજ કબજે કર્યા છે.
રિપોર્ટ અનુસાર જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી મંગલધામ એડવોકેટ નીલેશ દાફડા તેમના પરિવારની સાથે રહેતા હતા. રવિવારે રાત્રીના સમયે વકીલ તેના ઘરે હતા તે સમયે કોઈ ઇસમો વકીલના ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ વકીલની તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતા DySP સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે વકીલ નીલેશ દાફડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે.

વકીલ નીલેશ દાફડાને ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે, વકીલનો કોઈની સાથે ઝઘડો કે પછી કોઈ મનદુઃખ હતું કે નહીં. વકીલની હત્યા કોણે કરી છે તે હજુ સુધી પોલીસ જાણી શકી નથી. વકીલની હત્યાની ઘટનાને લઇને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા છે. વકીલ નીલેશ દાફડા બે સંતાનોના પિતા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એક વકીલની હત્યાની ઘટના કચ્છના રાપરમાં સામે આવી હતી. આ ઘટનામાં રાપરના વકીલ દેવજી મહેશ્વરીને અજાણ્યા ઇસમે બજારમાં ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનામાં તેમના સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. આ હત્યાની ઘટના CCTV કેમરામાં કેદ થઇ ગઈ હતી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0