
રીતેશ પરમાર
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ ઓછા થયા પછી દિવાળી બાદથી જ સ્કૂલો રાબેતા મુજબ ખૂલી ગઈ છે. જોકે, હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં જુદા જુદા શહેરોમાં સ્કૂલના 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને હવે વાલીઓમાં પણ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા બાબતે ચિંતા વધી રહી છે.
ત્યારે વાલી મંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની માંગ કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
ઓલ ગુજરાત વાલી મંડળના પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુજરાતની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. આ ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ધોરણ 1થી 12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ કરાવે.’

છેલ્લા 10 દિવસમાં 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, ત્યારબાદ ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી. જેમાં સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાના રાક્ષસી પંજામાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં જુદા-જુદા શહેરોમાં સ્કૂલે જતા 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં સ્કૂલોના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચ્યો છે. 18ના આંકડામાં સુરતમાંથી 9, અમદાવાદના 4, રાજકોટના 3 અને વડોદરાના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ અને વડોદરાના એક-એક શિક્ષકોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0