
પ્રભાતભાઇ ભાલીયા માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવે છે
સવારે ફરજ પર જવા તેઓ ઘરેથી નિકળ્યા, દરમિયાન રસ્તામાં રામ પાર્ક સોસાયટી પાસે ખેંચ આવી ગયા બાદ પડી ગયા
NCOT માં ટુંકી સારવાર બાદ ફરજ પરના તબિબોએ તેઓને મૃત જાહેર કર્યા
સ્થાનિકો પ્રભાતભાઇની પોલીસ કર્મી તરીકેની ઓળખ કરી શક્યા ન હતા
પ્રભાતભાઇનો ફોટો સોશિયલ મીડિયાના મેસેન્જરમાં ફોરવર્ડ કરવામાં આવ્યો, જે સહકર્મી સુધી પહોંચ્યો હતો અને ઓળખ થઇ
વડોદરામાં બાઇક પર ફરજના સ્થળે જવા નિકળેલા પોલીસ જવાનનું રસ્તામાં ખેંચ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. તેઓ વર્ધીમાં નહિ હોવાને કારણે પોલીસ જવાન તરીકે તેઓની ઓળખ થઇ શકી ન હતી. આખરે તેઓની ઓળખ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી. પોલીસ જવાનનું એકાએક મૃત્યુ થતા પરિજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રભાતભાઇ ભાલીયા (ઉં.57) (રહે. કમલાનગર, આજવા) પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આજે સવારે ફરજ પર માંજલપુર પોલીસ સ્ટેશન જવા માટે ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં રામ પાર્ક સોસાયટી પાસે તેઓને ખેંચ આવી હતી. જેને કારણે તેઓ વાહન પરથી પડી ગયા હતા. સ્થાનિકોનું આ અંગે ધ્યાન જતા તેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં NCOT માં ટુંકી સારવાર બાદ ફરજ પરના તબિબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પરિજનો અને સાથી પોલીસ કર્મીઓમાં શોકની લાગણી જોવા મળી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રભાતભાઇ ભાલીયા સાદા વેશમાં પોલીસ સ્ટેશન પહોંચવા માટે નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તેઓને ખેંચ આવી હતી. અને ત્યાં જ તેઓ પડી ગયા હતા. તેવામાં સ્થાનિકોએ તેમને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. પરંતુ પ્રભાત ભાઇની ઓળખ થઇ શકી ન હતી. દરમિયાન પ્રભાતભાઇનો ફોટો સોશિયલ મીડિયાના મેસેન્જરમાં ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ફોરવર્ડ થતા આખરે ફોટો પ્રભાતભાઇના સાથી મીત્રો સુધી પહોંચ્યો હતો. અને આ ઘટનાની તેઓને જાણ થઇ હતી. આખરે પોલીસ જવાનો અને પ્રભાતભાઇના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. અને મૃતદેહનો કબ્જો મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0