
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર નવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. તો કેટલીક વખત કોઈ યુવક વ્યાજખોરોના આતંકના કારણે અથવા તો કોઈ અસામાજિક તત્વોથી ત્રાસીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના જામનગર જિલ્લાના એક ગામમાં સામે આવી છે. જ્યાં એક યુવક દ્વારા ગામના બુટલેગરોના ત્રાસથી મોતને વહાલુ કરવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે આપઘાત કરનાર યુવકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર જામનગર જિલ્લામાં જામવંથલી ગામ આવેલું છે અને આ ગામમાં 24 વર્ષનો નિતીન પરમાર નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. આ નીતિને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેમને આ બાબતે પોલીસને માહિતી આપી હતી અને પોલીસે નિતીન પરમાર નામના યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી.
આપઘાત કરતા પહેલાં નિતીન પરમાર દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.તેમાં તેને કહ્યું હતું કે, વંથલી ગામના જ બે ઈસમો તેને હેરાન પરેશાન કરી રહ્યા છે. અગાઉ તેને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી અને આ બંને ઈસમો દારૂનો ધંધો કરે છે. તેઓ ધાક-ધમકી આપી રહ્યા છે અને આ સાથે જ પોતાની સાથે જે બન્યું છે તે બીજાની સાથે ન બને એટલા માટે નીતિને પોલીસ પાસેથી ન્યાયની માગણી પણ વીડિયોના માધ્યમથી કરી છે.
નિતીન દ્વારા જે 2 લોકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે તેના નામ કૃષ્ણરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇ DySP કૃણાલ દેસાઈ દ્વારા આ બાબતે પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0