
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યમાં હજુ જાતિવાદના કિસ્સાઓ સામે આવે છે. કેટલીક જગ્યા પર દલિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. તો કેટલાક ગામમાં દલિત પરિવારના સભ્યના લગ્નમાં વરઘોડો કાઢવા દેવામાં આવતો નથી. ત્યારે સુરેન્દ્રનગરમાં એક શિક્ષક જાતિવાદનો ભોગ બન્યા છે. ટ્રાન્સફર થયું હોવાના કારણે શિક્ષક સુરેન્દ્રનગરમાં ગયા હતા. પણ તે દલિત હોવાના કારણે કોઈ તેમને મકાન ભાડે આપવા માટે તૈયાર નહોતું.
તેથી તેમણે આ બાબતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરતા કોઈ નિરાકરણ ન આવ્યું. ત્યારબાદ સામાજિક ન્યાય વિભાગ દ્વારા શિક્ષકની બદલીનો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, છત્રિયાલ ગામના શિક્ષક કનૈયાલાલ બારૈયાએ સામાજિક ન્યાય વિભાગને પત્ર લખીને રજૂઆત કરી હતી કે તેઓ દલિત હોવાના કારણે તેમને ગામમાં કોઈ મકાન ભાડે આપતું નથી. શિક્ષક કનૈયાલાલનું ટ્રાન્સફર સાયલા તાલુકાના નીનામા ગામની સરકારી શાળામાં થયું હતું. તેથી તેઓ નીનામા ગામ રહેવા માટે ગયા હતા. નીનામા ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા શિક્ષક કનૈયાલાલ અનુસુચિત જનજાતિના હોવાથી તેમને ઘર ભાડે આપવામાં આવતું નહોતું. શિક્ષક જે છાત્રિયાલ ગામમાં રહે છે ત્યાંથી આ નીનામા ગામનું અંતર 75 કિલોમીટર થાય છે. તેથી તેમણે અવર જવર માટે 150 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.
તેથી શિક્ષક દ્વારા શિક્ષણ અધિકારીઓને વારંવાર પોતાની બદલી અન્ય ગામની શાળામાં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પણ તેમની બદલી કરવામાં આવતી નહોતી. તેથી શિક્ષક કનૈયાલાલ દ્વારા સામાજિક ન્યાય વિભાગને પત્ર લખીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક ન્યાય વિભાગ દ્વારા આ બાબતે શિક્ષણ વિભાગને શિક્ષકની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. છતા પણ શિક્ષકની બદલી કરવામાં આવતી નથી.
શિક્ષક કનૈયાલાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું વાલ્મિકી સમાજનો એક શિક્ષક છું. 2020માં નીનામા ગામમાં મારી બદલી શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. મારા ગામથી ફરજના સ્થળ પર જવાનું અંતર 150 કિલોમીટર થાય છે. એક અઠવાડિયા પછી મને એવું લાગ્યું કે, આ કિલોમીટર ખૂબ વધારે છે. તેથી મેં ગામમાં મારા પરિવારની સાથે રહેવા માટે મકાનની શોધખોળ કરી હતી. ગામના સરપંચ અને તલાટી મને મળ્યા. ત્યારબાદ તેમણે મારો પરિચય પૂછ્યો અને પછી સરપંચ મને તેમના ઘરે લઇ ગયા. ત્યાં મને કહ્યું કે, તમે કઈ નાત છો. ત્યારે તેમણે મને કહ્યું તમે કઈ જ્ઞાતિના છો. એટલે મેં કહ્યું વાલ્મિકી સમાજ. ત્યારબાદ તેમણે કહ્યું, વાલ્મીકી એટલે શું. પછી મેં કહ્યું ઢોલ વગાડે તે એટલે સરપંચે કહ્યું તમે….છો (જાતિવિષયક અપશબ્દ )એમ કહોને. ત્યારબાદ તેમણે મને કહ્યું કે, તમને અહીં કોઈ મકાન ભાડે આપશે નહીં. પછી મને તલાટી દ્વારા એક દાખલો આપવામાં આવ્યો. તેમાં લખ્યું છે કે, તમે વાલ્મિકી સમાજના હોય એટલે તમને આ ગામમાં ભાડે મકાન આપવામાં આવશે નહીં. એટલે મેં ગ્રામ પંચાયતના લેટરપેડ પર સરકાર અને શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે. પણ આ બાબતે આજદિન સુધી કોઈ તપાસ થઇ નથી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0