
લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય નાગરિકને મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ.3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી. જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જાણકારી
ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે. ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1340 કરોડનો લાભ થશે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0