
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
પિતા અને દિકરીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. દીકરી પર કોઈ આફત આવે તો પિતા ઢાલ બનીને તેની આગળ ઊભા રહી જાય છે પરંતુ આજે પિતા અને પુત્રીના સંબંધને કલંક લગાવતો એક કિસ્સો ભુજના માંડવીમાં સામે આવ્યો છે. આ ઘટનામાં પિતાને ગંદી હરકતોના કારણે દીકરીએ આપઘાત કરવો પડ્યો અને આ સમગ્ર ઘટનાને પગલે પત્નીએ પતિ સામે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાને લઇ એક મહિના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર ભુજના માંડવીના દીવાદાંડી પાસે 20 ઓગસ્ટના રોજ એક સગીરા એ તેના ઘરે ગળેફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ સગીરાની માતાને થતા તેણે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સગીર વયની યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં એક મહિના પછી આપઘાત કરનાર સગીરાની માતાના નિવેદનના કારણે મોટો વળાંક આવ્યો છે. સગીરાની માતાએ તેના પતિ સામે આક્ષેપ કર્યો હતો કે, સગીરાના પિતા 9 મહિના પહેલા મસ્કત ઓમાનથી દીકરીને ફોન કરીને તેના આંતરવસ્ત્રો બાબતે પૂછીને તેની સાથે અશ્લીલ વાતો કરતા હતા અને ફોનમાં જ દીકરી સાથે અનૈતિક સંબંધોની માગણી કરતા હતા.

આપઘાત સગીરાની માતાએ આ બાબતે ઓડિયો કિલપિંગ પણ પોલીસને આપ્યું છે અને પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ આત્મહત્યા કરવા બાબતેની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધીને નરાધમ પિતાની ધરપકડ કરી છે. આટલું જ નહીં પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યો છે કે, સગીરા રાત્રે સૂતી હતી ત્યારે નિદ્રાધીન અવસ્થામાં સગીરાના પિતા દીકરીની છાતી પર હાથ ફેરવતો હતો. દીકરીને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પરેશાન કરતો હતો. કોરોનાની મહામારી વચ્ચે મસ્કતમાં લોકડાઉન હોવાથી આ નરાધમ પિતા તેના પરિવારની સાથે રહેવા આવ્યો હતો અને ત્યાં દીકરીની એકલતાનો લાભ લઇ તેના પર નજર ખરાબ કરીને તેની છેડતી કરતો હતો. આ બાબતે સગીર વયની દીકરી અને તેના પિતાને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી. આ પ્રકારના ત્રાસથી કંટાળેલી સગીરાએ 20 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલ તો પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0