
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 146 મી યાત્રા કોમી એખલાસ અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળ્યા હતા. ત્યારે આ ભવ્ય રથયાત્રામાં ગુજરાત અને દેશના ખૂણે ખૂણે થી લાખોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. જગતના નાથ ભગવાન જગન્નાથની ભવ્યતાને શબ્દો દ્વારા વર્ણવી તે ગાગરમાં સાગર ભરવા જેવું કપરું કામ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7:05 વાગે જમાલપુર મંદિર થી નગરચર્ચાનો પ્રારંભ થયો હતો. ભક્તોના હૃદયમાં એકમાત્ર તાલાવેલી ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી. સવારે ચાર વાગતા જ જેવા નીજ મંદિરના દ્વાર ખોલ્યા એ સાથે જ “જય રણછોડ માખણચોર ” ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
વર્ષમાં માત્ર એકવાર ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે છે. જેથી ભગવાનના દર્શનની એક ઝલક જોવા ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથને અત્યંત પ્રિય એવા આદિવાસી નૃત્ય -રાસગરબાથી માહોલ વધુને વધુ જામવા લાગ્યો હતો. આસ્થા અને ઉલ્લાસના માહોલ વચ્ચે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી. ત્યારે બપોરના 2 થી 2:30 ની વચ્ચે સરસપુર ખાતે ભગવાન જગન્નાથના રથ પાસે 12 વર્ષનો બાળક ભગવાન દર્શન માત્ર કલાકો સુધી રાહ જોઈને ઉભો હતો. જેમ આ રથયાત્રા આગળ વધી રહી હતી કે અચાનક 12 વર્ષનો બાળક એકાએક બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. બાળકને જમીન ઉપર ઢળી પડતા જોઈ રથયાત્રામાં જોડાયેલા હરિભક્તોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ત્યારે રથયાત્રાના બંદોબસ્તમાં હાજર એક પોલીસ જવાનની નજર જમીન ઉપર ઢળી પડેલા બાળક ઉપર પડતા ક્ષણિક ભરનો પણ વિલંબ કર્યા વગર બાળકને પોતાના ખબા ઉપર ઉચકી તેનો જીવ બચાવવાં 108 એમ્બ્યુલન્સ તરફ દોટ લગાવી હતી.
જુઓ વિડીયો કેવી રીતે બાળકને ખબે ઉચકી 108 તરફ દોડી રહ્યો છે પોલીસ જવાન નિતેશ ઓડ
તમને જણાવી દઈએ કે રથયાત્રા જયારે સરસપુર ખાતે પહોંચી ત્યારે ભગવાન જગન્નાથના દર્શનની એક ઝલક માટે લાખો હરિભક્તોની ભીડમાં ખુબજ ઉત્સાહિત રીતે એક 12 વર્ષનો બાળક ભગવાનના રથની સામે ઉભો હતો. પરંતુ અસહ્ય ગરમી અને બફારાના કારણે બાળક એકાએક બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. જ્યાં બંદોબસ્તમાં તૈનાત અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિતેશ ઓડની નજર બાળક ઉપર પડી હતી. જમીન ઉપર ઢળી પડેલા બાળક ઉપર કોઈ હરિભક્તોના પગ પડે તે પહેલા પોલીસ કોન્સ્ટેબલ નિતેશ ઓડે તરત જ બાળકને પોતાના ખબે ઉચકી 108 તરફ દોટ લગાવી હતી. જયારે રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે બાળકને 108 સુધી પહોંચાડવું પણ પોલીસ કોન્સ્ટેબલ માટે એક ચેલેન્જ સમાન હતું. પરંતુ પોલીસ કોન્સ્ટેબલ નિતેશ ઓડે સમય સૂચકતા અને બાળકને થયેલી તકલીફને ધ્યાનમાં રાખી લગભગ એક કિલોમીટર સુધી દોટ લગાવી હતી. અને મહામહેનતે બાળકને આખરે 108 સુધી પહોંચાડી દીધો હતો.
તમને જણાવી દઈએ કે, આટલા જનમેદની વચ્ચે અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર હનુમાનભાઈ ઓડે બહાદુરી પૂર્વક બેભાન અવસ્થામાં ઢળી પડેલા 12 વર્ષના માસુમ બાળકને સમયસર 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દીધો હતો. અને ભગવાન જગન્નાથના આશીર્વાદથી 12 વર્ષના બાળકને નજીકના શારદાબેન હોસ્પિટલ ખાતે પહોંચાડી તેની તાત્કાલિક સારવાર કરાવતા આખરે બાળકનો જીવ બચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી સમગ્ર રથયાત્રાનું મેગા રીહર્સલ કરી રહ્યું હતું. જેમાં લોકોની જાનમાલની સુરક્ષા કેવી રીતે કરવી તેની યોગ્ય ટ્રેનિંગ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર અને તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને આપી રહ્યા હતા. તેના ભાગરૂપે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિતેશકુમાર હનુમાનભાઇ ઓડ (બં નં 8297) પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક અને બહાદુરી પૂર્વક બજાવતા એક 12 વર્ષના માસુમ બાળકનો જીવ બચાવી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી કહેવાય છે કે “પોલીસ પ્રજાની રક્ષક છે” તેને સાર્થક કરી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલ નિતેશ ઓડ વિશે વધુ માહિતી મેળવતા તેઓ મૂળ હિંમતનગર તાલુકાના રાયગઢ જિલ્લા સાબરકાંઠાનો વતની છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા પોલીસ કોન્સ્ટેબલ એક પ્રતિભાશાળી ક્રિકેટર પણ છે. હાલ અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યો છે. તો સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે ખુબજ સારો ખેલાડી છે. તેમણે હાલમાંજ અમદાવાદ સિટી પોલીસ ટીમમાં રમીને અમદાવાદ પોલીસને ઘણી બધી પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે જેમાં ડીજી કપનો પણ સમાવેશ થાય છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0