
ફાઈલ તસ્વીર
ભાગડાવડા ગામે એ.એસ.ઇ અને હોમગાર્ડ જવાનને માર મારવાના ગુનામાં કસ્ટડીમાં મુકાયેલા 3 આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ એ.એસ.આઇ.એ રાત્રી દરમિયાન હોસ્પિટલમાંથી સિટી પોલીસમથકમાં જઇને માર મારવાને મુદ્દે એક આરોપીની માતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.આ પ્રકરણમાં એ.એસ.આઇ તથા સિટી પોલીસમથકમાં ફરજ પરના પી.એસ.ઓને ડી.એસ.પી.એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
વલસાડ સિટી પોલીસમથકના એ.એસ.આઇ રાહુલ રાઠવા તથા હોમગાર્ડ જવાન સંદીપ પટેલ ગત. તા.11-7-23ના રોજ મધરાત્રીએ પેટ્રોલિંગ દરમિયાન ભાગડવડા ગામના દાદિયા ફળિયામાં આવેલા તળાવ પાસે પહોંચીને જોયુ તો કેટલાક યુવાનો ટોળે વળીને બેઠા હતા. એ.એસ.આઇ.એ આટલી મોડી રાત્રે અહીં કેમ બેઠા છો તેમ પૂછતાં યુવાનો ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થતાં ઉશ્કેરાયેલા 6 થી 7 જેટલા યુવાનોએ એ.એસ.આઇ અને હોમગાર્ડ જવાનને રીતસર ઢીબી નાખ્યા હતા તેમજ બંનેના મોબાઇલ ફોન પણ તોડી નાખ્યા હતા. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા જી.આર.ડીના ભાવેશ અને વિરાજ પૈકી વિરાજને ઢીકમુક્કીનો માર મારી તેનો પણ ફોન તોડી નાખ્યો હતો.
ઇજાગ્રસ્ત એ.એસ.આઇ અને હોમગાર્ડ જવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ.એસ.આઇની ફરિયાદને આધારે સિટી પોલીસે કુલ 06 આરોપીઓ સામે ગુનો નોંધીને તે પૈકીના ત્રણ આરોપીઓ દિપેશ પટેલ, ચિરાગ પટેલ અને ધ્રુવ પટેલની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા. દરમિયાન હોસ્પિટલમાં દાખલ એ.એસ.આઇ રાહુલ રાઠવા તા.13-06-23ના રોજ રાત્રે હોસ્પિટલમાંથી રજા લીધા વિના કે કોઇને જાણ કર્યા વગર નિકળીને સિટી પોલીસમથકે પહોંચ્યા હતા અને લોકઅપમાં બંધ આરોપીઓને બહાર કાઢીને માર માર્યા હતા. જે બાદ તે પરત હોસ્પિટલમાં જઇને સૂઇ ગયો હોવાની લેખિત ફરિયાદ ત્રણ પૈકી એક આરોપી ચિરાગ પટેલની માતા ગીતાબેન કલ્પેશભાઇ પટેલે તેમના વકીલ મારફતે કોર્ટમાં કરી હતી. જે ફરિયાદના આધારે કોર્ટે વલસાડ સિવિલ હોસ્પિટલ તથા સિટી પોલીસમથના તા.12 થી તા. 14 જૂન સુધીના સીસીટીવી ફુટેજ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ પોલીસ તંત્રનો કર્યો હતો. જે દરમિયાન વલસાડ ડી.એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલાએ એ.એસ.આઇ રાહુલ રાઠવા અને સિટી પોલીસમથકના ઇન્ચાર્જ પી.એસ.ઓ એવા હે.કો જયશ્રીબેન નરોત્તમભાઇ પટેલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે.
સમગ્ર પ્રકરણમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની જવાબદારી નક્કી થવી જોઇએ
એ.એસ.આઇ રાહુલ રાઠવાને આરોપીઓએ ઢીકમુક્કી અને ગડદાપાટુનો માર માર્યો હતો.જેમો તેનો કોઇ ગંભીર કહી શકાય તેવી શારિરીક ઇજા થઇ નહોતી તેમ છતાં તા.11 જૂનના રાત્રીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા બાદ તા.14 જૂન સુધી રજા લીધા ન હોતી.એટલુ જ નહી તો ઇન્ડોર પેશન્ટ હોવા છતાં તા.13મીએ રાત્રે હોસ્પિટલમાંથી નીકળીને સિટી પોલીસમથમાં પહોંચી ગયો અને થાણા ઇન્ચાર્જ પાસેથી લોકઅપની ચાવી લઇ આરોપીઓને બહાર કાઢીને માર માર્યા હતા. તે પછી પરત હોસ્પિટલમાં જઇને સુઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં વલસાડ સિવિલ હોસ્પિટલના સ્ટાફની જવાબદારી પણ નક્કી થવી જોઇએ તેવી માંગણી ઉઠવા પામી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0