
સુરત.તા.૦૯,
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ પાછોતરો વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ડાંગર નો ઉભો પાક નાશ પામે તેવી શક્યતા વર્તાય રહી છે. ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ૨ થી ૩ લાખ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. જેમાં ૮ થી ૧૨ હજાર હેકટરમાં ડાંગર નું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ૫૦૦ કરોડ ની આવક ડાંગરની ખેતી માંથી ખેડૂતોને થાય છે. જોકે, છેલ્લા ૩ વર્ષથી દર ઓક્ટોબર માં આવતા વરસાદ ને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આશરે ૨૦ ટકા થી વધુ ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ રહ્યું છે. ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં ક્યાંક ડાંગર કોહી જવું અને સડી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ડાંગર પલળી જવાના કારણે પશુ નો ઘાસચારાની તંગી પણ વર્તાશે, જેના કારણે ભાવ વધારો થશે. કાંઠા વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, એક હેકટર દીઠ ૩૦ થી ૩૫ હજાર નો ખર્ચ થાય છે. જોકે, વરસાદને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. છેલ્લા ૨ વર્ષમાં સરકારે હેકટર દીઠ ૭૪૬ રૂપિયા ચૂક્વ્યા છે. જેમાં ૬૩૮૭ જેટલા ખેડુતોને ૧૧ કરોડ ૩૩ લાખ ૨૪૬૬૩ ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે, ૩૩ ટકા થી વધુ નુકશાની હોય તો જ નુકશાની વળતર ચૂકવાયું હોવાનું ખેડૂત અગ્રણી દર્શન નાયક નું કહેવું છે.
ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, ડાંગરની જેમ શેરડી ના પાકમાં પણ ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. ખેતીપ્રધાન દેશમાં ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. શેરડીમાં હેકટર દીઠ ૧.૫૦ લાખ ખર્ચો થાય છે. જો સરકાર સર્વે કરે તો ઉત્પાદન ખર્ચ સામે માત્ર ૧૦ ટકા રકમ પણ મળતી નથી. શેરડી નું આજદિન સુધીનું રોપાણ મુજબ, કામરેજ સુગર ૩૮૬૧, બારડોલી સુગર ૧૯૨૦૦, ચલથાણ સુગર ૧૨૪૦૦, સાયણ સુગર ૯૨૦૦, પંડવાઇ સુગર ૨૫૦૦, કાંઠા સુગર ૧૪૦૦ મળી કુલ્લે ૪૭૫૦૦ રોપાણ થયું છે. રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવી ખેડુતોને નુકશાની વળતર ચૂકવે એવી સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો વતી મારી લાગણી અને માંગણી છે.

“વરસાદ થંભી જાય તેવી ખેડૂતોની પ્રાર્થના”
વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે. જો હવે આગામી બે દિવસમાં વરસાદ થંભી જાય અને તાપ નીકળે તો ડાંગરનો પાક તૈયાર થઇ ગયો હોય અને કાપણી કરવાની હોય અથવા કાપણી થઇ ગઇ હોય તેવા સંજોગોમાં પાકને સુકાવાનો સમય મળી રહે તેમ છે. આવા સંજોગોમાં ખેડૂતો પોતે તૈયાર કરેલા પાકને વેચી શકે છે અને નુકસાન ઓછું થાય એમ છે ત્યારે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ હવે થંભી જાય. આ ઉપરાંત જો વધારે દિવસ વરસાદ રહ્યો તો આંબા, ચીકુ જેવા રોકડીયા પાકોને પણ અસર થઈ શકે એમ છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0