
પઠાણ ફિલ્મને થનારા વિરોધને લઈ જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા
કહ્યું- આંદોલનકારી આંદોલન કરે તો તેને કાયદાની કેટલીક કલમો હેઠળ ફસાવાય
બજરંગદળ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે તો કોઈ કાર્યવાહી નહિ – મેવાણી
છેલ્લા કેટલાક સમયથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ પઠાનને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલા કપડાના રંગથી આ વિરોધ શરૂ થયો હતો. જે બાદ આ વિરોધ વકરતો જ જોવા મળી રહ્યો છે. ત્યારે ફિલ્મને લઈને થનારા તમામ વિરોધ પ્રદર્શનોને લઈ કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઠેર ઠેર પઠાણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તેમજ મોલમાં તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ તમામ વિરોધ પ્રદર્શન મુદ્દે જિગ્નેશ મેવાણીએ મોટુ નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે આંદોલનકારીની વાત કરતા કટાક્ષ કર્યા હતા.
પઠાણ ફિલ્મના વિરોધને લઈ કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીએ પોતાના ટ્વીટરમાં પોસ્ટ શેર કરી લખ્યું છે.આ યુગનું એક કડવું સત્ય,જો કોઈ આંદોલનકારી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે છે, તો તેને કાયદાની કેટલીક કલમો હેઠળ ફસાવવામાં આવે છે. બીજી તરફ અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગદળના લોકો બળજબરીથી ઘૂસીને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્મમાં ઓરેન્જ રંગની બિકીની મામલે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો એવું કહીને વિરોધ કરી રહ્યા છે કે, આ હિન્દુઓના ભગવા રંગનું અને ધર્મનું અપમાન છે. જેથી અમદાવાદમાં આવેલા આલ્ફા વન મોલ ખાતે આજે બુધવારે પઠાણ મુવીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન તેમણે શાહરુખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટર્સને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે જ ફિલ્મ રિલિઝ થશે તો હજુ પણ આક્રમક વિરોધ કરવાની ચીમકી પણ આપી ગયા છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0