
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આજે કતારગામમાં આવેલા RJD બિઝનેસ હબમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા કતારગામ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારના લલીતા ચોકડી પાસે આવેલ કન્તારેશ્વર સોસાયટીના રહેવાસી પ્રવીણ કુંભાણીએ આપઘાત કરી લીધો છે જેની સ્યૂસાઇડ નોટ પણ સામે આવી છે.
પ્રવીણ કુંભાણીના ફેસબુક એકાઉન્ટ પર આ આખી સ્યૂસાઇડ નોટ અપલોડ કરવામાં આવી છે. જે સ્યૂસાઇડ નોટમાં આપઘાત કરનાર વ્યક્તિ દ્વારા ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને સંબોધીને લખાણ લખવામાં આવ્યું છે.

આ સ્યૂસાઇડ નોટમાં આપઘાત કરનાર વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે કે, હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે.

મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કંઈ નથી. મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબુર થયો છું. આ લોકોએ મને બવ હેરાન કર્યો છે.

સ્યૂસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે, જે લોકો મારા પરિવારને હેરાન કરશે તો મોતનું કારણ આ લોકો બનશે. મારી પોલીસ ખાતાને વિનંતી છે કે, આ લોકોને ખરાબ સજા થવી જોઈએ અને મારા પરિવારને ન્યાય મળવો જોઈએ., નહિતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો. સાથે જ આ સ્યૂસાઇડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો.
વધુમાં લખતા કહ્યું છે કે, મેં સ્યૂસાઇડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ સાહેબ હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારનો ન્યાય પૂરો અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહીં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સ્યૂસાઇડ નોટ હું ફેસબુક પર ચડાવું છું.

હાલમાં કતારગામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચીને ફરિયાદ નોંધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0