
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરત સાયબર ક્રાઈમ એસીપી ગોહીલ અને ટીમ સામે સનસની ખેજ આક્ષેપોથી ખળભળાટ
ત્રણ દિવસ સુધી પોલીસ મથકમાં જ ગોંધીરાખી ટોર્ચર કરી બેફામ માર માર્યો, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડાને લેખિત રજૂઆત
પોલીસને જનતાની સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે. પરંતુ અવાર-નવાર રક્ષક જ ભક્ષક બની જતા હોવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે આવા જ એક બનાવનો ભોગ સૌરાષ્ટ્રના બે યુવાનો બન્યા છે.
સૌરાષ્ટ્રના ધોરાજી અને ઉપલેટા પંથકના અને માર્કેટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે યુવાનોનું સુરત સાયબર ક્રાઈમે અમદાવાદની હોટલમાંથી અપહરણ કરી સુરત લઈ જઈ ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં જ ગોંધી રાખી બેફામ માર મારી રૂ. પાંચ લાખનો તોડ કર્યો હતો. આ અંગે સુરત સાયબર ક્રાઈમના એસપી યુવરાજસિંહ ગોહીલ સહિત તેમની ટીમ સામે સનસનીખેજ આક્ષેપો સાથે ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. આ સનસનીખેજ બનાવ અંગે જૂનાગઢમાં સરદારબાગ વિસ્તારમાં રહેતા અને ભોગ બનનાર બંને યુવાનના મિત્ર વિરલ અરસીભાઈ જોટવાએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટીયા સહિતના અધિકારીઓઅ ઓનલાઈન લેખિત ફરિયાદ કરી છે. જેમાં તેના બે મિત્રનું સુરત સાયબર સેલના અધિકારીઓ દ્વારા અપહરણ કરી રૂ. પાંચ લાખ પડાવ્યાનો આક્ષેપ કરાયો છે. અરજદારે સુરત સાયબર ક્રાઈમના એસીપી યુવરાજસિંહ ગોહિલ, પીએસઆઈ જીજ્ઞેશ આહીર, યોગેશ ગઢવી, પ્રહલાદસિંહ જાડેજા, સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના જયુભા, કૃણાલ પટેલ, હાર્દિક પઢીયાર, પિયુષ ગોંડલીયા, મેહુલ ચૌધરી અને તપન વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે.
અરજીમાં જણાવ્યા મુજબ તેમના મિત્ર યોગેશ મુળજીભાઈ ચોથાણી (રે. નાની પરબડી, ધોરાજી) અને અશ્ર્વિન વેકરીયા (રે. મેખાટીંબી, ઉપલેટા) બંને મલ્ટી લેવલ માર્કેટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય જેઓ ગત તા. 21-8-21 ના વ્યવસાયના કામ અર્થે અમદાવાદની ચાંદખેડાની સ્પર્શથી હોટલ ખાતે રોકાયા હતા. દરમિયાન અમદાવાદ પોલીસના અજાણ્યા બે કર્મી અને સુરત સાયબર સેલના પીએસઆઈ જીજ્ઞેશ આહીર સહિતનાઓએ હોલટમાં ઘસી આવી તમે લોકોના પૈસા ઉઘરાવી ભાગી ગયા છો, ગેરકાયદે ધંધો કરો છો. કહી ખોટી ધાક-ધમકી આપી બંનેને નંબર પ્લેટ વગરની સફેદ કલરની અર્ટીગા કારમાં અપહરણ કરી સુરત અઠવા લાઈન્સ ખાતે આવેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

જ્યાં બંનેને ત્રણ દિવસ સુધી પોલીસ મથકમાં ગોંધી રાખી ટોર્ચર કરી માર મારવામાં આવ્યો હતો. અને પાંચ લાખ રૂપિયાનો તોડ કરી બંનેને છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના બંને મિત્ર ખૂબ જ ડરી ગયા હોવાથી ફરિયાદ કરવાની સ્થિતીમાં ન હોવાથી અરજી કરી હતી. અરજદારે વધુમાં જણાવ્યા મુજબ તેમની પાસે અમદાવાદની હોટલમાંથી અપહરણ કરાયું. તે હોટલના સીસીટીવી અને અને રસ્તામાં જે હોટલમાં જમવા રોકાયા તેના પણ સીસીટીવી મોજુદ હોય આ ઉપરાંત સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેના પણ સીસીટીવી ફુટેજ કબ્જે કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
માત્ર પૂછપરછ માટે બોલાવાયા હતા. આક્ષેપો પાયા વિહોણા : એસીપી યુવરાજસિંહ ગોહીલ
સૌરાષ્ટ્ર પંથકના બંને યુવાનોનું અપહરણ કરી ગોંધી રાખી તોડ કરવાના સનસનીખેજ આક્ષેપ અંગે સુરત સાયબર ક્રાઈમના એસપી યુવરાજસિંહ ગોહીલ સાથે વાત કરતા તેમણે ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું. કે ‘વેબમાર્ટ’ નામની ઓનલાઈન એપ્લીકેશનમાં લોકો પાસેથી માર્કેટીંગના નામે પૈસા પડાવતા હોવાની શંકાના આધારે બંને યુવાનોને પુછપરછ માટે બોલાવાયા હતા. અને બેંક એકાઉન્ટ સહિતની ચકાસણી કરી કોઈ એવા પુરાવા મળી ન આવતા બંને યુવાનોને જવા દેવાયા હતા. અમદાવાદથી અપહરણ કરાયું અને ગોંધી રાખી તોડ કરવા જેવા આક્ષેપો પાયા વિહોણા છ. તેમ જણાવ્યું હતું.






Total Users : 25
Total views : 93
Who's Online : 0