
રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેમણે લખ્યું છે કે, જુગારની કાર્યવાહી મુદ્દે રાજકીય અગ્રણી બદલીની ધમકી આપે છે. તેમની આ પોસ્ટને લઈ પોલીસ બેડા ઉપરાંત રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચ્યો છે. અને આ ચોંકાવનારી પોસ્ટથી પોલીસ તંત્ર અને રાજકીય આગોવાનોમાં આ ધમકી આપનાર રાજકીય અગ્રણી કોણ ? તેના વિશે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.જો કે મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે પીઆઇ ભાર્ગવ જનકાતે પોસ્ટ ભૂલથી મુકાઈ હોવાનો લુલો બચાવ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાના ફેસબુક પોસ્ટ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે જેમાં કોઈ રાજકીય આગેવાન તેમને છેલ્લા ચાર વર્ષથી હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ પોસ્ટમાં જણાવ્યા મુજબ, એક રાજકીય આગેવાનના બનેવીને ત્યાં જુગારની રેડ કરી તે દિવસથી ખાર રાખી ધમકી આપવામાં આવે છે. જેમાં કહેવાય છે કે, ‘એવી જગ્યા એ બદલી કરીશ કે જ્યાં પાણી પણ નહિ મળે’ જો કે પોસ્ટનાં અંતમાં ASIએ પણ પુષ્પા સ્ટાઈલમાં ‘ઝૂકેગા નહિ સાલા’ તેવો ડાયલોગ પણ લખ્યો છે.

આ સમગ્ર મામલે મીડિયા દ્વારા ASIનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો સંપર્ક નહીં થતા કુવાડવા રોડ પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટર ભાર્ગવ જનકાત સાથે વાત કરવામાં આવી હતી. જેમાં PI ભાર્ગવ જનકાતે કહ્યું હતું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. અને છેલ્લા ઘણા સમયથી આવી કોઈ જુગારની રેડ પણ થઈ નથી. ASI હિતેન્દ્રસિંહે આ પોસ્ટ તેમના કોઈ મિત્રને મોકલવાને બદલે ફેસબુકમાં મૂકી દીધી હોવાનો બચાવ તેમણે કર્યો હતો. જો કે ફેસબુકમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે જોતા પોસ્ટ ભૂલથી થઈ હોવાનું લાગતું નથી.
સામાન્ય રીતે રાજકારણ સામે પોલીસ દબાતી હોય છે. ભાગ્યે જ એવા પોલીસ કર્મચારીઓ હશે કે, જેમણે રાજકીય આગેવાનો સામે બાંયો ચડાવી હોય. જો કે અત્યાર સુધીનાં ઈતિહાસમાં જ્યારે પોલીસકર્મીએ સાચી કે ખોટી રીતે રાજકીય અગ્રણીની સામે બાંયો ચડાવી ત્યારે તેને બદલીનો સામનો કરવો પડતો હોય તેવા અનેક દાખલાઓ મોજુદ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા ASIની ફેસબુક પોસ્ટથી તેમની બદલીની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
· ASI હિતેન્દ્રસિંહ ઝાલાની અક્ષરસહ ફેસબુક પોસ્ટ
આજ એક નેતાને તેની અસલિયત કહી તો મને બદલીની ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહિ મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે અને વગર વાંકે બદલીઓ કરાવે છે જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, પણ મારી ભી તૈયારી છે જૂકેગા નહિ સાલા , મારો વાંક એટલો જ હતો કે મે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે હું લડીશ ઝુકીશ નહિ , હું ઝુકીશ નહિ …..
ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ મુક્યા બાદ હિતેન્દ્રસિંહે પોતાની પોસ્ટ fb એકાઉન્ટ પરથી ડિલીટ કરી નાખી છે. અને આ અંગે કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. પરંતુ રાજકીય આગેવાન પર ગંભીર આક્ષેપ કરતી આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઇ ચુકી છે. અને માત્ર રાજકોટ જ નહીં ગુજરાતભરમાં રાજકીય આગેવાન કોણ ? તેને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. તો સાથે જ ગુજરાતનાં તમામ કર્મચારીઓને પણ આ પોસ્ટે વિચાર કરવા મજબૂર કરી દીધા છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0