
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ દર્શન નાયકે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયને પત્ર લખી માંગ કરી છે કે, સુરત ગ્રામ્યના ગામોમાં ઠેર ઠેર દેશી દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે, તો બીજી તરફ ગલીએ ગલીએ અને નાકે બુટલેગરો દ્વારા બેખોફ ઇંગ્લિશ દારૂનો વેચાણ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં અગાઉ પણ દર્શન નાયક દ્વારા ઓલપાડના પોલીસ અધિકારીઓને આ દારૂના દૂષણ બાબતે વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ દર્શન નાયક ની રજૂઆતને કાને લેવામાં આવી નથી. અને જો વાત કરીએ ઓલપાડ અને તેમના આજુબાજુના ગામોની તો હાલમાં જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને દેશી દારૂની હાટડીઓ ઉપર સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડો કરવામાં આવી હતી. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો રૂપિયાનો દેશી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ફરી એક વખત ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવવા માટે છુપી રીતે પરવાના આપી દેવામાં આવ્યા હતા.
પરિણામ સ્વરૂપ ઓલપાડ અને તેમના આજુબાજુના ગામોમાં દેશી દારૂની ભટ્ટીઓ, દારૂનો ખુલ્લેઆમ વેચાણ, ઠેર ઠેર ઇંગ્લિશ દારૂની હેરાફેરીઓ જોવા મળી રહી છે. આ બાબતમાં વધુ આક્ષેપ કરતા લખાયેલા પત્રમાં દર્શન નાયક એ ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાતના પોલીસવડાને રજૂઆત કરી છે કે આ દારૂના દૂષણના લીધે મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવા બની રહી છે. એમના પરિવારનો માળો વિખેરાઇ રહ્યો છે. બાળકો અનાથ બનતા નજરે પડી રહ્યા છે. જેથી કરીને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક અસરે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા તાત્કાલિક પગલા ભરવામાં આવે. અને દેશી વિદેશી દારૂના બેફામ રીતે અડ્ડા ચલાવતા આવા અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કડક થી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ દર્શન નાયક એ પત્રમાં જણાવ્યું છે કે દારૂ સમાજનો દુષણ છે, જેથી તેને તાત્કાલિક બંધ કરાવવામાં આવે, કારણ કે અસામાજિક તત્વો દ્વારા ગામમાં રહેતા ભોળા અને નિર્દોષ યુવકોને આવા દુષણમાં ધકેલી તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. દારૂના વ્યસનની લત નાખી યુવા ધનને બરબાદ કરવામાં આવી રહ્યો છે. આવા યુવાનો દારૂની લતે ચડી કુરિવાજો તરફ ધકેલાઈ જાય છે . આવી તમામ બાબતો થી દર્શન નાયક દ્વારા સરકાર અને પોલીસ તંત્રને અવારનવાર જાણ કરાવવામાં આવી છે. દર્શન નાયક એ કહ્યું કે, દારૂના દૂષણ સામે તેમજ આ સામાજિક પ્રવૃત્તિઓ સામે પગલા ભરવા માટે સરકારે રાજનીતિ ના કરવી જોઈએ. જો રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરશે તો ચોક્કસથી સમાજમાં ચાલતા દારૂના દુષણને અટકાવવામાં સફળતા મળશે.પત્રમાં વધુ એક ગંભીર આક્ષેપ કરતાં દર્શન નાયક જણાવે છે કે, ઓલપાડ તાલુકાના અમુક બુટલેગરના માથે રાજકારણીઓના આશીર્વાદ છે જેના લીધે આ બુટલેગરો સ્થાનિક પોલીસ સાથે મિલીભગત કરી સમગ્ર વિસ્તારમાં બેફામ દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચલાવી રહ્યા છે. આવા બુટલેગરો સામે તાત્કાલિક અસરે કાર્યવાહી કરવાની જરૂર છે. જેમાં ખાસ કરીને લવાછા ગામના જલારામ મંદિરની પાછળ સમુદ્રના તટ ઉપરની ઝાડિયોમા દેશી દારૂ બનાવવાની ભટ્ટીઓ ધમધમી રહી છે. તેમજ નરસંગ મોહલ્લો, જલારામ મોહલ્લો, ઉતારું ફળિયુ, અને ચોર્યાસી ફળિયુ સહીત અન્ય ઘણા વિસ્તારોમાં દેશી દારૂની જાણે ફેક્ટરીઓ ધમધમી રહી છે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ કરે તો મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાનો માલ સામાન પોલીસને હાથ લાગી શકે છે.

તો બીજી તરફ આ પત્રમાં દર્શન નાયક દ્વારા લખવામાં આવ્યુ છે કે, સમુદ્રના તટ પાસે આવેલા ગામો જેમકે, મોર, દાંડી, લવાછા, પિંજરત, ડભારી, બરબોધન, ટેના, કમરોલી, દેલાસા, સોંદલખરા, માસ્મા, સરોલી, સાયણ, કીમ, કુડસદ, દેલાડ, સિવાણ, કણજ, સોંસક, સરસ, પૂર્વી પટ્ટીમાં ભાટગામ, કદારમાં, કઠોદરા, ઉમરા, ગોઠણ, જેવા ગામોમાં ઠેર ઠેર દેશી દારૂ બેફામ રીતે વેચાઈ રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ દર્શન નાયક એ રાજ્ય સરકારના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય ને બીજી વખત પત્ર લખીને વિનંતી કરી છે કે, કસૂરવાર લોકો સામે ખુલ્લેઆમ દારૂનો વેચાણ કરી રહ્યા બુટલેગરો અને આ સામાજિક તત્વો સામે તાત્કાલિક અસરે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. વધુમાં તેમને જણાવ્યું કે સુરત ગ્રામ્યમાં ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ, દેશી દારૂ ના અડ્ડાઓ, વિદેશી દારૂની મોટા પ્રમાણમાં થતી હેરાફેરીને અટકાવી સમાજમાં ફેલાવી રહેલા દારૂના દુષણને નાબૂદ કરવાના જરૂરી પગલાં ભરીને રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ તંત્ર પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.




Total Users : 22
Total views : 89
Who's Online : 0