
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર સલામતીના દાવા કરે છે પણ બીજી તરફ લોકો સુરક્ષિત ન હોય તેવું લાગે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શરૂ ગરબા વચ્ચે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા વિઠ્ઠલ ગઢ ગામની છે.
રિપોર્ટ અનુસાર વિઠ્ઠલ ગઢ ગામમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જય અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિના ગરબામાં વિજય નામના યુવકને એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. વિજય સાથે ઝઘડો થયો હતો તે યુવક મારામારી પર ઉતરી આવ્યો હતો. ત્યારબાદ તેને પોતાની પાસે રહેલી છરી વડે વિજય પર હુમલો કરી દીધો હતો. આ ઇસમે વિજયને ચપ્પુના ઘા ઝીંકતા વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે વિજયનું ઘટના સ્થળ પર મોત થયું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ ગામના લોકોએ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે ઘટનાની તપાસ બાદ વિજયના મૃતદેહને વિરમગામની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. તો આ ઘટના બાદ પોલીસ દ્વારા વિઠ્ઠલ ગઢ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ગામમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, વિજયની હત્યા કોઈ અંગત અદાવત ના કારણે થઈ છે. તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, વિજયની હત્યા પ્રેમ પ્રકરણમાં કારણે થઈ છે પરંતુ આ ઘટનામાં શું તથ્ય છે તે તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે પરંતુ નવરાત્રિના આયોજન દરમિયાન આ પ્રકારે યુવકની જાહેરમાં જ હત્યા થઇ તેના પરથી કહી શકાય કે, રાજ્યમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0