
રિમાન્ડ પૂરા થવા સુધીમાં સંતોષ નહીં થાય તો વધુ રિમાન્ડ લેવાશે, જરૂર પડ્યે નાર્કો ટેસ્ટની પણ તૈયારી
રાજકોટ, તા.23
સાયલા પાસેથી દારૂ ભરેલા કન્ટેનરનું ડ્રાયવર સાથે અપહરણ કરીને રાજકોટમાં ઘૂસાડી દેવામાં આવે તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને રંગેહાથે પકડી લેતાં તેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા.
દરમિયાન એસએમએસીએ ક્રાઈમ બ્રાન્ચની આ ‘ચંડાળ ચોકડી’ની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતાં તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
દરમિયાન આજે રિમાન્ડનો ત્રીજો દિવસ હોય અત્યાર સુધી તપાસ દરમિયાન આ ચારેય એસએમસીને ગોટાળે ચડાવતાં હોય તેવું લાગતાં આજે ગાંધીનગર લઈ જઈને ચારેયની આગવી સરભરા કરવામાં આવી છે અને ત્યાં સઘન પૂછપરછ કરાઈ રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે રિમાન્ડ મંજૂર થયા બાદ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી તેમજ કોન્સ્ટેબલ દેવા ધરજીયાને બે દિવસ સુધી સાયલામાં જ રાખીને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ પ્રકારના નિષ્કર્ષ સુધી ન પહોંચી શકાતાં અને આ ચારેય એસએમસીને અવળા માર્ગે લઈ જતાં હોવાનું લાગતાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલની મુખ્ય ઓફિસ ગાંધીનગર ખાતે ચારેયને લઈ જવામાં આવ્યા છે અને ત્યાં ‘વ્યવસ્થિત’ પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ જાણવા મળ્યા પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલ અત્યારે એક જ મુખ્ય સવાલનો જવાબ માંગી રહી છે કે આ ચારેય પોતાની હદ છોડીને છેક સાયલા સુધી દારૂ પકડવા માટે કેમ કયા અને ગયા તો ગયા પરંતુ બૂટલેગરને સાથે શા માટે લઈ ગયા ?
જ્યારે બીજો મહત્ત્વના સવાલનો જવાબ એવો પણ જાણવા માટે ભાર મુકાઈ રહ્યો છે કે શું આ ચારેય ખરેખર ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને દરોડો પાડવા ગયા હતા કે પછી લાગતા-વળગતાં અધિકારીઓને આ અંગેની જાણ હતી ? જો કે આ તમામ સવાલોનો જવાબ સોમવારે ચારેયના રિમાન્ડ પૂરા થયા બાદ મળી જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે રિમાન્ડ પૂર્ણ થયા બાદ મોટા ધડાકા-ભડાકા થાય તેવી પણ શક્યતા અત્યારે સેવાઈ રહી છે.
દરમિયાન અધિકારી સૂત્રોએ જણાવ્યું કે સોમવારે ક્રાઈમ બ્રાન્ચના ચારેય જવાનોના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે અને જો ત્યાં સુધીમાં સંતોષકારક જવાબ નહીં મળે તો ચારેયને વધુ રિમાન્ડ માટે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જરૂર પડ્યે ચારેયનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચના ચારેય જવાનોને સાયલાના આયા ગામ પાસે દારૂ ભરેલું કન્ટેનર પડ્યું હોવાની બાતમી રાજકોટના કુખ્યાત બૂટલેગર સૌરભ ચંદારાણા દ્વારા મળતાં બૂટલેગરને સાથે રાખીને દરોડો પાડવા ગયા હતા અને આયા ગામેથી જ દારૂ ભરેલા ટેન્કર સાથે ડ્રાયવરનું અપહરણ કરી લીધું હતું.
આ વેળાએ જ સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂ ભરેલા કન્ટેનરનું અપહરણ થઈ રહ્યાની બાતમી મળી જતાં તેણે રાજકોટની ભાગોળે માલિયાસણ પાસેથી કન્ટેનર સાથે ચારેયને પકડી પાડ્યા હતા. આ વેળાએ બૂટલેગર સૌરભ નાસી છૂટ્યો હતો જે હજુ પણ પોલીસને હાથ લાગ્યો નથી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0