
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીમાં છે.એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે. પીએમ મોદીએ કહ્યુ કે, હું એકતા નગરમાં છું, મારું હૃદય મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. મારા જીવનમાં ભાગ્યે જ મેં આવી પીડા અનુભવી હશે. એક તરફ કરુણાથી ભરેલું પીડિત હૃદય છે તો બીજી બાજુ કર્તવ્ય માર્ગ છે. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે જણાવ્યું કે, સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર ગત સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને આર્મી તૈનાત છે.આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુ:ખની આ ઘડીમાં એક થવા અને આપણા કર્તવ્ય પથ પર રહેવાની સંવેદના આપી રહ્યું છે. હોસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી નહીં આવવા દેવામાં આવે.




Total Users : 3003
Total views : 3680
Who's Online : 0