
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાત ATS છેલ્લા ઘણા સમયથી પોતાના બહાદુર અને નીડર અધિકારીઓની કુશળ કામગીરી થી નામચીન ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા હાંસલ કરી રહી છે. જેમાં હત્યાં, લૂંટ, રેપ, ધાડ, ડ્રગ્સ, બનાવટી પાસપોર્ટ, નકલી કરન્સી, જેહાદી ષડયંત્ર, અથવા અન્ય ગંભીર પ્રકારના ષડયંત્રો કરી દેશના નાગરિકોને જાન માલનું નુકશાન પહોંચાડતા હોય એવા ગુનેગારોને ગુજરાત ATS દ્વારા ભારત દેશના કોઈ પણ રાજ્યના ખૂણે થી દબોચી લઈ ગુનાખોરી ડામવામા સફળ થઈ રહી હોવાના અનેક ઓપરેશન સફળ બનાવ્યા છે. જેથી ગુજરાત ATS ની સફળ અને પ્રસંસનીય કામગીરીની સરાહના અને વખાણ કરી ગુજરાતનાં નવનિયુક્ત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

બીજીતરફ ગુજરાત ATS મા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન અને જાંબાજ અધિકારી સી. આર. જાદવ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત આરોપી અશરફ નાગોરી કે જે, જેહાદી ષડયંત્ર અને ફાયરિંગ જેવા ગુનામાં છેલ્લા નવ મહિનાથી પોલીસને થાપ આપી જુદા જુદા શહેરોમાં પોતાના નામ બદલી અને ઓળખ છુપાવી રહેતો હતો. જેને પકડી પાડવા ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર જાદવે પોતાના અંગત સૂત્રોને કામે લગાડ્યા હતા. જેમાં અંગત રાહે માહિતી મળી હતી કે સુરતનો મોસ્ટ વોન્ટેડ આરોપી અશરફ નાગોરી મહારાષ્ટ્ર્ર મા છુપાયેલો છે. જેથી બાતમીના આધારે ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે તાત્કાલિક જુદી જુદી ટિમો બનાવી મહારાષ્ટ્રના નવાપુરા માંથી ગુજસીટોકના ગંભીર ગુનાના કુખ્યાત આરોપી અશરફ નાગોરીની ધરપકડ કરી અમદાવાદ લઈ આવ્યા હતા.

*શુ છે સમગ્ર ઘટના ક્રમ તેની વિગત વાર માહિતી
2003માં અમદાવાદમાં જેહાદી ષડયંત્ર, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓના આરોપી અશરફ નાગોરી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ તે છેલ્લા નવ મહિનાથી પોલીસે હાથતાળી આપી પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખોટા નામ ધારણ કરી છુપાતો ફરતો હતો. આખરે ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડને મળેલી માહિતીના આધારે તેને મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ઝડપી લઈ અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
આ અંગે એ.ટી.એસ. સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, ગત તા. 11મી જાન્યુઆરીના રોજ સુરત લાલગેટના રામપુરા પસ્તાગીયા શેરી ખાતે રહેતા મોહંમદ અશરફ મોહંમદ ઈસ્માઈલ નાગોરી વિરુદ્ધ સુરતના લાલગેટ પોલીસ મથક ખાતે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોતાના વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાયો હોવાની જાણ થતાં જ નાગોરી સુરતની નાસી છૂટ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં ખોટું નામ ધારણ કરી રહેવા લાગ્યો હતો. બે-ત્રણ મહિના પશ્ચિમ બંગાળમાં રહ્યાં બાદ તે મહારાષ્ટ્રના નવાપુર ખાતે નાસી છૂટ્યો હતો. આમ છેલ્લા નવ મહિનાથી તે સતત જગ્યાઓ બદલી પોલીસની ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આ દરમિયાન એટીએસના ઈન્સ્પેક્ટર સી.આર.જાદવને નાગોરી નવાપુરમાં આવ્યો હોવાની બાતમી મળતાં જ એટીએસની એક ટીમ નવાપુર પહોંચી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તેનું સચોટ લોકેશન મેળવી તેને ઝડપી લીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય સ્થાનિક પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ ફાયરિંગ, આર્મ્સ એક્ટ સહિતના 24 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આ અગાઉ વર્ષ 2003માં તેની સુરત તથા અમદાવાદમાં પોટા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી તથા વર્ષ 2013 તથા 2015માં સુરત પોલીસે તેને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો હતો. વર્ષ 2005થી 2010 દરમિયાન સુરતમાં હસમુખ લાલવાલા ઉપર ફાયરિંગ કેસમાં તેને સાત વર્ષની સજા થયેલી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2003માં જેહાદી કાવતરાના ગુનામાં તેની પોટા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં કુલ 54 આરોપીઓ પકડાયા હતા જેમાં તે સાત વર્ષ જેલમાં રહ્યો હતો. ખૂબ જ રીઢો તથા ઓર્ગેનાઈઝ ક્રાઈમમાં સંડોવાયેલા આરોપી ઝડપાઈ જતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 0