
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
થોરાળામાંથી કોઈને ન બદલાયા, એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કોઈની નહીં, નવા ચારને મુકાયા
રાજકોટના પોલીસ કમિશનરની બદલી સાથે જ વિભાગમાં પણ બદલીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે જે હજુ સુધી પણ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં પીએસઆઈની બદલી કરાયા બાદ અંદાજે 200 જેટલા કોન્સ્ટેબલની કટકે કટકે બદલી ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા કરવામાં આવી હતી.
હવે ઈન્ચાર્જ સીપી દ્વારા એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી ‘ચોંટેલા’ 90 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈને ટ્રાફિક વિભાગમાં મુકવાનો હુકમ કરતાં દોડધામ થઈ જવા પામી છે.
જાણવા મળ્યા પ્રમાણે બદલીનો લીથો બહાર ન પડે તેવો હેતુ રાખીને ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ડાયરેક્ટ જે તે પોલીસ મથકના પીઆઈને જ તેમના મથકમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની બદલીનો ઓર્ડર મોકલી દેવામાં આવ્યો હતો અને જે કર્મીની બદલી કરાઈ છે તેમને તાત્કાલિક છૂટા કરવાના આદેશનો ઉલ્લેખ પણ ઓર્ડરમાં કરવામાં આવ્યો છે. આ રીતે જોવા જઈએ તો એ-ડિવિઝનમાંથી સૌથી વધુ સાત કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત માલવિયાનગરમાંથી ત્રણ, ભક્તિનગરમાંથી ચાર, ગાંધીગ્રામમાંથી એક કર્મચારી સહિત લગભગ દરેક પોલીસ મથકમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતનાની બદલી ટ્રાફિક વિભાગમાં કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા પ્રમાણે થોરાળામાંથી કોઈની બદલી કરવામાં આવી નથી તો એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફને પણ યથાવત રાખવામાં આવ્યો છે અને તેમાં નવા ચાર કર્મચારીને મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરની બદલી બાદ બેડામાં બદલીઓનો મોટાપાયે ઘાણવો નીકળી રહ્યો છે ત્યારે આ બદલીઓના સિલસિલામાં 90 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ આવ્યા છે જેમને ટ્રાફિક વિભાગમાં મુકવામાં આવ્યા છે. હજુ આવનારા દિવસોમાં વધુ પ્રમાણમાં બદલીઓ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એકંદરે શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ઘેરી બનતી જઈ રહી હોવાથી ટ્રાફિક બ્રાન્ચને મજબૂત બનાવવા માટે આ બદલી કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે ત્યારે બીજી બાજુ એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ત્રણ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારીને ટ્રાફિક વિભાગમાં મુકીને એક પ્રકારે સજા પણ આપવામાં આવી છે !





Total Users : 25
Total views : 93
Who's Online : 0