
અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા પાટિયા સર્કલ પાસે નવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ છે. નરોડા પાટિયા સર્કલ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. જેના લીધે અવારનવાર વાહન ચાલકો વચ્ચે અંદરો અંદર રકઝક થતી હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે અત્યારના બનાવમાં એક્ટિવા ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો હત્યાંમાં પરિણમ્યો છે.
ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર શહેરના નરોડા પાટિયા પાસે રીક્ષાચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મનોજ ગીધવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરતા તેમનુ મોત નીપજ્યું હતું.મનોજ પોતાની દીકરીની દવા લેવા માટે નરોડા પાટિયા પાસે ગયો હતો. જ્યાં રીક્ષાચાલક સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જે હુમલામાં રીક્ષા ચાલક ભાવેશ ભાવસારે મૃતકને છરીના ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે નરોડા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી
અત્યારના ગુનામાં પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી. અને જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે રીક્ષા ચાલક ભાવેશે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘરેથી દવા લેવા નીકળેલા મનોજને રીક્ષા ચાલક સાથે કયા કારણોસર માથાકૂટ થઈ તે જાણવા પોલીસે અન્ય રિક્ષાચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે.સામાન્ય બોલાચાલી બાદ થયેલા હત્યાને લઈને પોલીસ તપાસમાં એક વાત તો સામે આવી છે કે જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે છરી રીક્ષા ચાલક પોતાની પાસે જ રાખતો હતો. એટલે કે શહેરમાં ખુલેઆમ રીક્ષા ચાલકો પણ હથિયારો લઈને ફરી રહ્યા છે અને તેમને કેવી રીતે રોકવા તેમજ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે શહેર પોલીસ આવા બનાવોને અટકાવવા કયા પ્રકારે પગલાં લે છે તે જોવું મહત્વનું છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0