
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં થેયલા બ્લાસ્ટના આરોપીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા 15 વર્ષથી ફરાર બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરીની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને આપી છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં અડધી રાતે દોઢ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંવાદી હુમલો કરનારા 9 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિલાલ કાશ્મીરી નામનો આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે તેને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ઝડપી લીધો છે.

આશિષ ભાટિયાએ જણાવ્યું કે, દિપેન ભદ્રનના નેતૃત્વમાં એક ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી હતી, જ્યાં જમ્મુ અને કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલી ડાર છે. ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો આરોપી ડાર પણ 2006થી જ ફરાર હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૌયબામાં જોડાઈ ગયો હતો. કાલુપુર બ્લાસ્ટ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બશીર કાશ્મીરી નામનો આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 0