
રાજસ્થાન પોલીસ છેલ્લા 23 વર્ષથી જે આરોપીને પકડી શકી ન હતી તે કામ ગુજરાત પોલીસે કરી બતાવ્યું છે. હા ચોક્કસ તમે આ સાચું જ વાંચી રહ્યા છો. વાત જાણે એમ છે કે 2001 માં રાજસ્થાન ગૌવંશના ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાન પોલીસ પકડવા માટે અનેકવાર પ્રયત્ન કરી ચૂકી હતી અને આરોપીને પકડવા રાજસ્થાન પોલીસ અનેકવાર અમદાવાદ પણ આવી હતી. પરંતુ આ ખુંખાર આરોપી દર વખતે રાજસ્થાન પોલીસને હાથ તાળી આપતો હતો. જોકે રાજસ્થાન પોલીસ જે કામ ન કરી શકી તે કામ અમદાવાદની ઇસનપુર પોલીસે કરી બતાવ્યું છે. ઇસનપુર પોલીસે મોહમદ યાકુબ શેખ નામના આરોપીને આખરે દબોચી લીધો છે માટે જ ગુજરાત પોલીસ સવાઈ સાબિત થઈ હોવાનું કહેવામાં કોઈ જ મીનમેખ નથી.

વિગતો એવી છે કે રાજસ્થાન રાજ્યમાં ચૂંટણી યોજાનાર હોવાથી રાજસ્થાનના ગુન્હાઓના આરોપીઓ કે જે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ ખાતે રહેતા હોય, તેવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની એક ખાસ ઝુંબેશ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા રાખવામાં આવી હતી. ઝોન 06નાં નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીએ રાજસ્થાન રાજ્યના નાસતા ફરતા આરોપીઓના લીસ્ટ મોકલી, પકડી પાડવા માટે સૂચના આપી હતી.

સૂચનાના આધારે ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.પી.ગઢવીએ સ્ટાફના માણસોને આવા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. દરમિયાનમાં બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના શીવગંજ પોલીસ સ્ટેશનના છેલ્લા 23 વર્ષથી નોન બેલેબલ વોરંટના કામે નાસતા ફરતા વોન્ટેડ ગૌવંશ અધિનિયમના ગુન્હાના આરોપી મહમદ યાકુબ મહમદ અયુબ શેખ રહે. સરતાજ નગર, કેનાલ રોડ, વટવા, અમદાવાદ હાલ રહે. ગલી ન. 17, સોનીનું ખેતર, ઈસનપુરને ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી મહમદ યાકુબ શેખની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતાનું આ ગુન્હામાં નોન બેલેબલ વોરંટ નીકળ્યું પછી, પોતે ઘર બદલાવી, અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને જ્યારે રાજસ્થાન પોલીસ તપાસમાં આવે ત્યારે આઘોપાછો થઈ જતો અને પોતાના કુટુંબના સભ્યોને રાજસ્થાન પોલીસ દ્વારા જ્યારે જ્યારે પૂછપરછ કરવામાં આવતી ત્યારે પોતે ગુન્હો દાખલ થયા બાદ ક્યાંક જતો રહેલો હોય, ઘરે આવતો નથી, તેવા જવાબ આપવામાં આવતા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0