
શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ગતરોજ ઓટો રીક્ષા પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ પત્ની સહિત પુત્ર એ ભેગા મળી આધેડને ઢોર માર મારતા તેનો દીકરો તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. તેને પણ આ ત્રણેયને ઢોર માર મારી ઘરમાંથી ચપ્પુ લાવી આધેડને ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ટુંકી સારવાર બાદ આધેડનું મોત નિપજ્યું હતું.બનાવને પગલે ઉત્રાણ પોલીસે યુવકની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્રાણ વિસ્તારમાં દેવીકૃપા સોસાયટીની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હિંમતભાઈ જેઠવા ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્કનું કામ કરે છે. તેનો પુત્ર જયસુખ પણ જોબવર્કનું કામ કરી પરિવારનું આર્થિક રીતે મદદ કરે છે. ગતરોજ રાત્રિના સમયે હિંમતભાઈ તથા જયસુખ ઘરે હતા ત્યારે તેના પાડોશમાં રહેતા ધીરુભાઈ કરસનભાઈ ટાંક સાથે રીક્ષા પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી ધીરુભાઈ તથા તેનો પુત્ર નરેન્દ્ર ઘરમાંથી ગુપ્તી તથા છારા જેવા ઘાતક હથિયારો લઈને આવી ગયા હતા અને હિંમતભાઈ ને છાતીમાં તથા જમણા પડખામાં અને ડાબા પડખામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ સમયે જયસુખ વચ્ચે આવતા તેને પણ માર મારી ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ પણ હિંમતભાઈને ચપ્પુના વધુ ઘા મારતા તે લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. જેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ હિમતભાઈનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે જાણ થતા ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉતરાણ પોલીસે આ સમગ્ર કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0