
સુરત / તા. 14
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી એક જાહેર યુનિવર્સિટી છે. અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ યુનિવર્સિટીનું નામ વિખ્યાત વિદ્વાન અને ગુજરાતી કવિ નર્મદના માનમાં ૨૦૦૪માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વીએનએસજીયુ) રાખવામાં આવ્યું હતું.૧૯૬૫માં સ્થપાયેલી આ યુનિવર્સિટી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો પૂરા પાડે છે, જેમાં જાહેર વહીવટ, ગ્રામીણ અભ્યાસ, તુલનાત્મક સાહિત્ય અને જળચર જીવવિજ્ઞાન જેવા બિન-પરંપરાગત અનુસ્નાતક વિભાગોનો સમાવેશ થાય છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો એક બીજા ઉપર આરોપ પ્રતિઆરોપ લગાવતા નજરે પડી રહ્યા છે . ભાજપ કોંગ્રેસ ઉપર તો કોંગ્રેસ ભાજપ ઉપર રાજનીતિક પ્રહાર કરી રહી છે. તો બીજીતરફ આ વખતે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા પૂરજોશ કોશિશ કરી રહી છે. ત્યારે હવે સુરતમાં કોંગ્રેસના નેતા દર્શન નાયક લડાયક ભૂમિકામાં નજરે પડી રહ્યા છે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી છેલ્લા ઘણા દિવસોથી ભાજપ સરકાર વિરૃદ્ધ મોંઘવારી, વીજળી લાઈટબીલ, જીએસટી, પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસને લઈ જોરદાર વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા હતા. તો હાલમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓ અંતર્ગત ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ આગેવાનો પ્રમુખ મહામંત્રી તેમજ ઉત્સાહિત કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કરી પોતાની દાવેદારી મજબૂત હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

જેના અંતર્ગત આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ મેળવવાના પ્રબળ દાવેદાર એવા દર્શનભાઈ નાયકે ભાજપ ઉપર શિક્ષણને લઈ પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ખુદ નેકની પરીક્ષામાં ફેલ થઈ ગઈ છે. એક સમયે એવો હતો કે ગુજરાતમાં VNSGUની બોલબાલા હતી. VNSGUમા અભ્યાસ કરવો એટલે ગૌરવની વાત હતી, પરંતુ ૨૭-૨૭ વર્ષથી ગુજરાતની શાસનધૂરા સંભાળતા ભાજપે શિક્ષણની ધોર ખોદી નાખી છે. કહ્યાગરા અને ચાપલુસ કૂલપતિઓની નિમણૂક આપીને શિક્ષણનું સ્તર નીચું લાવી દીધુ છે તેમજ દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી VNSGU નેકની પરીક્ષામાં નાપાસ થઈ ગઈ છે. યુનિવર્સિટી A ગ્રેડ ઉપરથી બી પ્લસ ગ્રેડ મેળવીને VNSGUના ગૌરવશાળી ઇતિહાસને ભાજપ સરકારે લૂણો લગાવી દીધો છે. ટૂંકમાં એમ કહી શકાય કે ભાજપની વિફળ શિક્ષણનીતિનો આઈનો નેકે બતાવી દીધો છે. સરકારી ખર્ચે તાયફા કરતી ભાજપ સરકારના રાજમાં VNSGUના કુલપતિ બનીને આવનારા માત્ર ને માત્ર જીહજૂરિયા બની ગયા છે.
વધુમાં આક્ષેપ લગાડતાં નેતા દર્શન નાયકે કહ્યું હતું કે, VNSGUના સતાધીશો શિક્ષણ ઉપર ધ્યાન આપવાને બદલે રાજકીય ચમચાગીરીમાં વધુ વ્યસ્ત નજરે પડે છે. VNSGUની કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા કોન્વેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી રોજગાર અંગેની મંગાયેલી માહિતી ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે. તાજેતરમાં ખુદ યુનિવર્સિટીએ યોજેલા દીક્ષાંત સમારોહમાં વિધાર્થી પાસેથી રોજગારી અંગેની વિગતો માંગવામાં આવી હતી. જેમાં ૨૭૩૧૧ સ્નાતકોમાંથી ૨૦૭૮૦ સ્નાતકો બેરોજગાર હોવાનું બહાર આવ્યું હતું. જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. રોજગારલક્ષી શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલી VNSGU નેકની પરીક્ષામાં પણ ફેલ થઈ છે. જે ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન કરતા ભાજપ સરકારે ગુજરાતનું શિક્ષણનું સ્તર ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું?એ સ્પષ્ટ કરે છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0