
સુરત: ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવા-બિયારણ અને ખાતર મળી રહે, ઉપરાંત ખેડૂતોને તેના ઉપયોગથી પાકને નુકસાન ના થાય એ માટે સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) સુરત દ્વારા આંતર જિલ્લા સ્ક્વોડની રચના કરી સુરત અને તાપી જિલ્લામાં કુલ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરી ૨૨ વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી હતી.
સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા સુરત અને તાપી જિલ્લામાં સ્ક્વોડ ટીમ દ્વારા ગત તા.૨૫ મે થી તા.૨૮ મે સુધી ખાતર, દવા અને બિયારણનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખાતર નિયંત્રણ હુકમ, બિયારણ અધિનિયમ તેમજ જંતુનાશક દવા અધિનિયમોના, નિયમાનુસાર વેચાણ કરે છે કે કેમ? તેમજ ગુણવત્તા નિયંત્રણને લગતી ચકાસણી કરી દવા, બિયારણ અને ખાતરનાં શંકાસ્પદ લાગતા સુરતમાં ૯ અને તાપી જિલ્લામાં ૧૧ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમજ એપ્રિલ – ૨૨થી આજ દિન સુધીમાં ખેત વપરાશ અંગેના સબસિડીયુક્ત નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુસર વપરાશ કરવાના આરોપસર પલસાણા તાલુકાના ૨ ડાઈંગ યુનિટ (ઈમ્પીરીયલ ડાઈંગ લિ.-કડોદરા તથા સોનાલી ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ લિ.-તાતીથૈયા) વિરૂદ્ધ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ખેતી અધિકારી-પલસાણાએ FIR નોંધાવી છે.
ચાલુ ખરીફ સિઝન પહેલા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા અને ધારાધોરણયુક્ત બિયારણ મળી રહે તે હેતુસર સંબંધિત તાલુકાના ખેતી અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન સુરત અને તાપી જિલ્લામાં અનુક્રમે ૧૬ અને ૩૬ બિયારણ વિક્રેતાઓને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ સુરત જિલ્લાના તાલુકાઓમાં મહુવા-૧૭, ઓલપાડ-૨૭, કામરેજ-૦૭, માંડવી 30, બારડોલી-૨૬, માંગરોળ-૧૪, ઉમરપાડા-૦૭, પલસાણા-૦૧ અને સુરત સિટી-૩૦ મળી કુલ ૧૫૯ નમુનાઓ અને તાપી જિલ્લાના તાલુકાઓમાં વ્યારા-૨૦, સોનગઢ-૦૮, ડોલવણ-૦૩, ઉચ્છલ-૬, નિઝર-૧૦, કુકરમુંડા-૦૭ અને વાલોડમાં ૧૩ મળી કુલ-૬૭ શંકાસ્પદ બિયારણના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ખેડૂતમિત્રોએ ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત સહકારી મંડળીઓ, સંસ્થાઓ અથવા ખાનગી પરવાનો ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ કરવી. આ અંગે વેપારી પાસેથી લાયસન્સ નં., પુરૂ નામ-સરનામુ અને ખરીદેલા બિયારણનું નામ, લોટ નં., સહી સાથેનું બિલ લેવું. બિયારણની થેલીનું સીલ તેમજ તેની સમાપ્તિ મુદ્દત અંગે ચકાસણી કરવી. ખાસ કરીને કપાસની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી ટાળવી. આવા શંકાસ્પદ બિયારણ વેચાતા હોવાનું જણાય તો જે તે તાલુકાના ખેતી અધિકારીઓ, જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ.) અને નાયબ ખેતી નિયામક(વિ.)-સુરતને જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ)ની યાદીમાં જણાવાયું છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 1