
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગમાં લેવાયો નિર્ણય: સાંજના પ વાગ્યાથી રામધૂન
મીઠાપુરના પી.આઈ. ગઢવી દ્વારા કેન્સરગ્રસ્ત વેપારી સામે ફડાકા ઝીંકી દબંગાઈ આચર્યા સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તંત્રને પગલાં લેવા આવેદન અપાયા બાદ હજુ સુધી પગલાં ન લેવાતાં આજે સાંજે ૫:૦૦ કલાકથી મીઠાપુરની બજારો બંધ કરવાનો નિર્ણય ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગમાં લેવાયો હતો.
આશરે ચારેક દિવસ પહેલા મીઠાપુર પી.આઈ.એ પોલીસ સ્ટાફ સાથે કરાયેલ કુટ પેટ્રોલીંગ દરમ્યાન કેન્સરગ્રસ્ત ચાની હોટલ ધારકને વેપારીને સરાજાહેર ફડાકા પ્રકરણના ઊંડા પડધા પડતાં ત્રણ દિવસ પહેલાં મીઠાપુર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા રાજ્યના ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા, સ્થાનીય સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારીને રજૂઆત કરી જવાબદાર પી.આઈ. સામે પગલાં લેવા માંગ કરાઈ હતી. દ્વારકા પ્રાંત કચેરીમાં આપેલ આવેદનપત્રમાં ૭ર કલાકમાં પગલાં ન લેવાયે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની ચિમકી આપ્યા બાદ હાલ સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હોય ગતરાત્રિની મીઠાપુર ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગમાં આજે સાંજે ૫:૦૦ કલાકથી મીઠાપુરની બજારો બંધ રાખવાનું એલાન કર્યું છે. આજે સાંજથી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ ધંધા – રોજગાર બંધ રાખી શાંતિપૂર્ણ વિરોધ કરશે. તંત્ર દ્વારા તુરંત ઉકેલ નહિં લાવ્યે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા રાહે વેપારીઓનું આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહયા છે.
મીઠાપુર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા સાંજે ૫-૦૦ કલાકથી ધંધા રોજગાર બંધ રાખી આશાપુરા મંદિરે એકત્ર થઈ રામધૂન બોલાવવાનું પણ આયોજન કર્યું છે.




Total Users : 22
Total views : 89
Who's Online : 0