
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
જો સરકાર ગંભીર તપાસ કરે તો રાજ્યભરમાં પોલીસ, પોલીટીશ્યન અને જમીનનું ગઠબંધન ખુલ્લુ થવાનો પણ ભય : ચૂંટણીના વર્ષમાં સરકાર માટે આ પ્રકારની સ્થિતિ સ્વીકાર્ય જ નથી : ગાંધીનગરના અધિકારીનો સૂર
રાજકોટ,તા. 14
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડકાંડમાં થયેલી ફરિયાદના મુદે એક તરફ રાજ્ય સરકાર ભીંસમાં છે ખુદ પક્ષના ધારાસભ્ય દ્વારા થયેલી ફરિયાદમાં એક પછી એક ફણગા ફૂટી રહ્યા છે અને પોલીસ કમિશનર આસપાસનો ઘેરો મજબૂત બનતો જાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા એડીશનલ ડીજીપી કક્ષાના આઈપીએસ અધિકારી સામેની ફરિયાદમાં એન્ટી કરપ્શન બ્યુરો કે જે રાજ્ય સરકારની જ એક એજન્સી અને લાંચીયા અધિકારીઓ સામે કાર્ય કરી રહી છે તો બીજુ રાજ્યના વિજીલન્સ કમિશનર પણ છે જે સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર મુદે આવતી ફરિયાદોની તપાસ કરે છે.
પરંતુ આ બંને વિભાગોમાંથી કોઇ એક વિભાગને પણ તપાસ સોંપવાને બદલે પોલીસ ડીપાર્ટમેન્ટના જ એક એડી. ડીજીપીને તપાસ સોંપીને સરકાર કદાચ આ વિવાદ લોકનજરમાંથી હટી જાય તે માટે સમય પસાર કરવાની કવાયત કરી રહી હોવાનું ગાંધીનગરના અધિકારીઓ અને રાજકીય વર્તુળોમાં જબરી ચર્ચા છે અને આ તપાસનું એકાદ બદલી સિવાય કાંઇ પરિણામ નહીં આવે તેવું પણ અનેક અધિકારીઓ કહી રહ્યા છે અને તેમની દલીલને મજબૂત બનાવતા એક સિનિયર બાબુએ કહ્યું કે આ પ્રકારની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો કે વિજીલન્સ વિભાગ કરે તે રાજ્ય સરકાર ઇચ્છતી નથી તેનું કારણ એ છે કે જો આ તપાસ તટસ્થ અને વ્યવસ્થિત રીતે થાય તો ફક્ત રાજકોટ નહીં રાજ્યભરમાં આ પ્રકારે અનેક વિવાદના દાબડા ખૂલી શકે છે.
હાલ પણ આ પ્રકારની ફરિયાદોમાં હવે લોકો બહાર આવી રહ્યા છે અને જે રીતે પોલીસ, જમીન અને પોલીટીશ્યનનું મોટુ ગઠબંધન છે તે ખુલ્લુ પડી જતા પોલીસ અને પોલીટીશ્યન બંનેને મોટુ નુકશાન જશે અને આથી જ આ ફરિયાદને સમયના આધારે ભુલાવવા સરકાર કોશિષ કરી રહી છે. વાસ્તવમાં તપાસનીશ અધિકારી ક્વોરન્ટાઇન થયા તે અંગે પણ જબરી ચર્ચા છે અને આ રીતે અઠવાડિયું વેકેશન પાડી દેવાયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ત્યાં સુધીમાં ઘણુ બધુ સેટીંગ થઇ જશે અને ફરી એક વખત પોલીસ શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને આ ફરિયાદો ખોટી છે તે નિશ્ર્ચિત કરી દેશે અને આ રીતે સમગ્ર પ્રકરણને ઠંડુ પાડી દેશે.
સરકાર ઇચ્છતી નથી કે ચૂંટણીના વર્ષમાં તેની જ સિસ્ટમનો સડો ખુલ્લો થાય અને વિપક્ષને નવા હથિયાર મળે. અને તેથી જ સમગ્ર તપાસ ઢીલી ચાલે છે અને જેની સામે ફરિયાદો છે તે અધિકારીઓ હજુ સુધી પોતાના સ્થાને સલામત છે તે પણ દર્શાવે છે કે સરકાર તેમને ડિસ્ટર્બ કરવા માગતી નથી અને ભવિષ્યમાં જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળમાં નવ-નવ પેપર લીકેજ છતાં પણ અસિત વોરાને સલામત રખાયા અને બોર્ડ નિગમના અન્ય રાજીનામાની સાથે તેમનું રાજીનામું લઇને વેટભેર જવા દેવાયા. તથા સમગ્ર ચિત્ર એવું બનાવવા પ્રયત્ન થયો કે અસિત વોરાએ કાંઇ કર્યું નથી. તેવું જ આ પ્રકરણમાં પણ થશે તેવા સંકેત અત્યારથી જ મળવા લાગ્યા છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0