
અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
અમદાવાદ:
અમદાવાદના ચકચારી અને અંડરવર્લ્ડના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલા વર્ષ ૧૯૯૨ના ‘રાધિકા જીમખાના હંસરાજ હત્યાકાંડ’ તેમજ ટાડા (TADA) કેસમાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા ૬ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન પાર પાડીને આ ખતરનાક ગુનેગારને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
પેરોલ જમ્પ કરી ૬ વર્ષથી નાસતો ફરતો હતો આરોપી:-
અમદાવાદ મધ્યસ્થ જેલ (સાબરમતી) ના પાકા કેદી નંબર ડ/૮૬૩૬ મોહંમદતસ્લીમ ઉર્ફે કાળુ મોહંમદઉમર શેખ (ઉં.વ. ૫૮, રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ઓઢવ પોલીસ સ્ટેશનના વર્ષ ૧૯૯૨ના હત્યાકાંડ અને ટાડા કેસના ગુનામાં કોર્ટે આજીવન કેદ તથા રૂ. ૫,૦૦૦/- ના દંડની સજા ફટકારી હતી.
વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન, ગત તા. ૦૬/૦૪/૨૦૨૦ ના રોજ આરોપી ૪૫ દિવસની પેરોલ રજા મેળવી જેલની બહાર આવ્યો હતો. પેરોલની મુદત પૂરી થતાં તેણે તા. ૨૬/૦૬/૨૦૨૦ ના રોજ જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ, કાળુ શેખ જેલમાં હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા ૬ વર્ષથી પોલીસ તેને શોધી રહી હતી.
ગુપ્ત બાતમીના આધારે ઉદયપુરમાં ક્રાઈમ બ્રાન્ચની ટ્રેપ:-

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ અને ખાનગી રાહે માહિતી મળી હતી કે પેરોલ ફરારી આરોપી મોહંમદતસ્લીમ ઉર્ફે કાળુ શેખ હાલમાં રાજસ્થાનના ઉદયપુરમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે ઉદયપુરમાં ધામા નાખ્યા હતા.
ગત તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ ક્રાઈમ બ્રાન્ચે ઉદયપુરના સુરજ પોલ રોડ પર આવેલી મકબરા મસ્જીદ પાસે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને તેની બાકીની આજીવન કેદની સજા ભોગવવા માટે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરી દીધો છે.

શું હતો રાધિકા જીમખાના હત્યાકાંડ? (ફ્લેશબેક)
વર્ષ ૧૯૯૨માં થયેલો રાધિકા જીમખાના હત્યાકાંડ એ ગુજરાતના અંડરવર્લ્ડ અને ગેંગવોરના ઇતિહાસની સૌથી ભયાનક ઘટનાઓમાંથી એક છે.
લતીફ ગેંગનો આતંક: આ હત્યાકાંડ ગુજરાતના એ સમયના સૌથી કુખ્યાત માફિયા અને ડૉન અબ્દુલ લતીફ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
ગેંગવોર અને દારૂનો વેપાર:-
અમદાવાદમાં ગેરકાયદેસર દારૂ (બુટલેગિંગ) ના સામ્રાજ્ય પર વર્ચસ્વ જમાવવા લતીફ અને હરીફ બુટલેગર હંસરાજ ત્રિવેદી વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી હતી. લતીફ ઈચ્છતો હતો કે હંસરાજ ત્રિવેદી માત્ર તેની ગેંગ પાસેથી જ દારૂ ખરીદે, પરંતુ હંસરાજે લતીફ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
૯ લોકોના કરપીણ મોત:-
હંસરાજ ત્રિવેદીના ઇનકારથી ઉશ્કેરાયેલા અબ્દુલ લતીફે તેના ગઢ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું. ૩ ઓગસ્ટ ૧૯૯૨ના રોજ સાંજે ૦૭:૪૫ વાગ્યે, લતીફના ખાસ શાર્પ શૂટર શરીફખાનની આગેવાનીમાં સશસ્ત્ર હિટમેનોના એક ટોળાએ ઓઢવ વિસ્તારમાં આવેલા ‘રાધિકા જીમખાના’ પર ધાડો પાડી. જીમખાનામાં પત્તાની રમત રમી રહેલા લોકો પર આડેધડ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં હંસરાજ ત્રિવેદી સહિત કુલ ૯ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા.
ગુજરાતમાં પ્રથમવાર AK-47 નો ઉપયોગ:-
રાધિકા જીમખાના હત્યાકાંડ એ ગુજરાતના ઇતિહાસની પ્રથમ એવી ગુનાહિત ઘટના હતી, જેમાં ગેંગવોર દરમિયાન અંડરવર્લ્ડ દ્વારા ખુલ્લેઆમ AK-47 જેવા અત્યાધુનિક ઓટોમેટિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સનાટો વ્યાપી ગયો હતો અને તત્કાલીન સરકારે લતીફ ગેંગ પર સકંજો કસવા ટાડા (TADA) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.





Total Users : 422
Total views : 605
Who's Online : 0