
અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે આવેલા હાંસાપુરા ગામમાં આડા સંબંધના વહેમમાં નહીં, પરંતુ પતિના જ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધના કારણે વિવાદ થતાં પતિએ પત્નીની હત્યા કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા આ ગુના બદલ નામદાર કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.
ઘટનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફે રઘુ વિજયસિંહ ચૌહાણ (ઉંમર ૨૩ વર્ષ) ના લગ્ન સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની સ્નેહા (ઉંમર ૨૧ વર્ષ) સાથે થયા હતા. લગ્નના માત્ર અઢી-ત્રણ મહિનામાં જ પત્ની સ્નેહાને જાણ થઈ હતી કે તેના પતિ રઘુના લગ્ન પછી પણ અન્ય એક યુવતી સાથે પ્રેમ સંબંધો ચાલુ છે. આ બાબતને લઈને દંપતી વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા.
જુલાઈ ૨૦૨૪ ના રોજ મધરાત્રિના આશરે ૨:૦૦ વાગ્યે બંને વચ્ચે ફરીથી આ જ મુદ્દે ભારે બોલાચાલી થઈ હતી.ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ગુસ્સામાં આવીને પતિ રઘુવીરસિંહે તીક્ષ્ણ હથિયાર (ચાકુ) વડે સ્નેહાના ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને ચુકાદો ધરપકડ:
જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોહીના ડાઘ અને તૂટેલી બંગડીઓ જેવા પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપી રઘુવીરસિંહની તાત્કાલિક અટકાયત કરી જેલભેગો કર્યો હતો.આ કેસ અદાલતમાં ચાલતા, તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે વડોદરાની અદાલતે હત્યારા પતિ રઘુવીરસિંહ ચૌહાણને દોષિત ઠેરવીને આજીવન કેદ (Life Imprisonment) અને દંડની સજા ફટકારી છે.

રાત્રે બે વાગ્યે કરી હત્યાં
બનાવ અંગેની વધુ મળતી માહિતી અનુસાર મધરાત્રે 2 વાગ્યાના સુમારે રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો શરૂ થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકૂનો ઘા કરી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતી મોતને ભેટી હતી. દરમિયાન આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા-પિતા તેમજ બહેનને થતા તેઓ દોડી આવ્યા હતા. અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા. મધરાત્રે ખેલાયેલા ખૂની ખેલની જાણ સવાર પડતા હાંસાપુરા ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી અને ફળિયાના લોકો રઘુના ઘરે ટોળે વળી ગયા હતા. બાજુ આ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી.જરોદ પોલીસ સ્ટેશનના PI શ્રી જે. એ. બારોટે હત્યારા પતિ રઘુવીરસિંહ ચૌહાણને ગણતરીની કલાકોમાં જ પકડી પાડી જેલ હવાલે કરી પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.
હાલ આ ઘટનામાં વડોદરા નામદાર કોર્ટે પત્નીની ઠંડા કલેજે હત્યાં નીપજાવનાર પતિને આ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરી રહેલા જરોદ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ બારોટની સચોટ તપાસ અને પુરાવા તેમજ ધારદાર દલીલોના આધારે ગુનેગાર યુવક રઘુવીરસિંહ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી હતી.





Total Users : 59
Total views : 142
Who's Online : 0