
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)
સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટ:- ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે, તે ‘ખાખી’ ફરી એકવાર ગંભીર આક્ષેપોના કઠેડામાં આવી ગઈ છે.
સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંગના કેસમાં પકડાયેલા આરોપી નરેશ પરમારનું કોર્ટમાં રજૂઆત દરમિયાન અચાનક અને રહસ્યમય મોત થતાં આખા રાજ્યમાં હોબાળો મચી ગયો છે. પરિવારે પોલીસ પર ઢોર માર મારવાનો, ભૂખ્યો-તરસ્યો રાખવાનો અને ગંભીર હૃદયરોગ હોવા છતાં તબીબી સારવાર ન આપવાનો ધારદાર આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં કસ્ટોડિયલ ટોર્ચર અને બરબર્તાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો.
સુરતની ઘટના: ત્રીજી આંખ સામે કસ્ટડીનો ખેલ?
કતારગામ પોલીસ દાવો કરી રહી છે કે તમામ પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે, પરંતુ પીડિત પરિવારના સવાલો પોલીસની થિયરીના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જો આરોપી બીમાર હતો તો તેને કોર્ટમાં લાવતા પહેલા હોસ્પિટલ કેમ ન લઈ જવાયો? કસ્ટડી દરમિયાન તેને આપવામાં આવેલી યાતનાઓ પાછળ કયા અધિકારીઓ જવાબદાર છે? પરિવારે હવે સીસીટીવી ફૂટેજ અને નિષ્પક્ષ કાયદાકીય તપાસની માંગ સાથે ન્યાયના દરવાજા ખખડાવ્યા છે.
જૂના કિસ્સાઓનો ઇતિહાસ: જ્યારે પોલીસ ઉપર લાગ્યા દાગ:-
આ કોઈ પહેલી ઘટના નથી, ગુજરાત પોલીસનો ઇતિહાસ આવા અનેક કાળા ધબ્બાઓથી ભરેલો છે:
અમદાવાદનો વેજલપુર કસ્ટોડિયલ ડેથ કેસ:-
તાજેતરમાં જ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગાયની કતલના આરોપમાં પકડાયેલા જહીરૂદ્દીન શેખ ઉર્ફે ડબ્બાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. પરિવારે કથિત ટોર્ચર અને દવાનો ઓવરડોઝ આપવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલામાં પોલીસ તંત્રએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સર્વોચ્ચ અદાલતે ફટકાર લગાવી અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુનો નોંધી SIT તપાસ સોંપવી પડી છે.
બોટાદ કસ્ટોડિયલ હિંસા:-
વર્ષ 2023માં બોટાદમાં એક શ્રમિક કાલુ પઢારશીને પોલીસે કસ્ટડીમાં એટલો ક્રૂર માર માર્યો હતો કે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું, જેમાં આખરે 3 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવો પડ્યો હતો.
નવસારી આદિવાસી યુવકોનું મોત:-
વર્ષ 2021માં નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી સગીર વયના યુવકોના રહસ્યમય મોતના કેસમાં પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી, પરંતુ ભારે જનઆક્રોશ અને તપાસ બાદ પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો.
શ્વેતાંગ પટેલ કેસ (2015):-
પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં લેવાયેલા 32 વર્ષના શ્વેતાંગ પટેલના મોત બાદ હાઇકોર્ટના આદેશથી નવ પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો.
આંકડા બોલે છે: માનવ અધિકાર આયોગ કેમ મૌન?
ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન (GSHRC) અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) ના અહેવાલો દર્શાવે છે કે, ગુજરાત કસ્ટોડિયલ ડેથના મામલામાં દેશના ટોચના રાજ્યોમાં રહ્યું છે. વર્ષ 2024-25ના સત્તાવાર અહેવાલ મુજબ જ રાજ્યમાં 93 કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે, જેમાં અમદાવાદ સૌથી મોખરે છે.
સવાલ એ થાય છે કે:માનવ અધિકાર આયોગ માત્ર નોટિસો ફટકારવા સિવાય કોઈ કડક એક્શન કેમ નથી લેતું?
કસ્ટડીમાં થતા આવા મોતના કેસમાં વર્ષો સુધી કાનૂની લડત ચાલે છે અને દોષિત પોલીસકર્મીઓ છૂટી જાય છે, જેના કારણે પોલીસમાંથી કાયદાનો ભય સાવ ખતમ થઈ ગયો છે?
આખરી આશા: સુપ્રીમ કોર્ટ જ કેમ?
જ્યારે સ્થાનિક પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડે છે, માનવ અધિકાર આયોગ માત્ર કાગળ પરની કાર્યવાહી કરે છે, ત્યારે થાકેલો-હારેલો ગરીબ પરિવાર સુપ્રીમ કોર્ટના શરણોમાં જાય છે. વેજલપુર કેસ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જો દેશની સર્વોચ્ચ અદાલત જ હસ્તક્ષેપ કરીને ન્યાય અપાવતી હોય, તો રાજ્યની કાયદાકીય એજન્સીઓ અને ‘ડબલ એન્જિન’ સરકારની સિસ્ટમ શું માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોવા માટે છે?
સુરતની કતારગામ પોલીસની આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે જ્યાં સુધી કસ્ટોડિયલ હિંસા આચરનારા પોલીસ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, ત્યાં સુધી લોકશાહીમાં ‘અમુક પદના ગુમાનમાં આતંક મચાવતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ સામાન્ય નાગરિકોનો જીવ લેતા રહેશે.





Total Users : 8806
Total views : 10284
Who's Online : 0