
સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી.ચોંકાવનારી બાબત એ હતી કે અપહ્રુત મહેશ પટેલ પાસેથી એક કરોડ રુપીયા ની વસુલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા.
સનસનીખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે સાણંદ બાર એસોસીએશન ના પ્રમુખ અને એડવોકેટ મહેશભાઈ દ્વારકાદાસ સાયન્સ સીટી અમદાવાદ ખાતે રહે છે. તેઓ બુધવારે સવારે નિત્યક્રમ મુજબ 11:00 કલાકે પોતાના નિવાસ્થાનેથી નીકળી સાણંદ તરફ જવા નીકળ્યા હતા અને રોજની ટેવ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસચારો નાખવા ઉભા હતા. ત્યારે પાછળથી કોઈ સ્વીફ્ટ કાર આવી તેમની કારની આગળ કરી દીધી હતી, અને અજાણ્યા ચાર શખ્સોએ મહેશભાઈને ઉઠાવી અને તેઓની કારમાં લઈ લીધા હતા. અને ત્યારબાદ મહેશભાઈની આંખે પાટા બાંધી કાર ભગાવી મૂકી હતી.બીજી તરફ મહેશભાઈ ની કાર પણ તેમાંના કોઈએ લઈ લીધી હતી. બાદમાં આગળ જતા કોઈ સ્થળે કાર ઊભી રહી હતી અને તેમાં માણસો બદલાઈ ગયા હતા. દરમિયાન મહેશ ભાઈએ પોતાની આંખે બાંધેલી પટ્ટી કરી નીચે કરી જોતા કારની આગળ ની સીટમાં ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ બેઠા હતા.અને કારની બાજુમાં ડાયાભાઈ ખેંગારભાઈ ગોરજ હતા.
મહેશભાઈએ આપવીતી જણાવ્યા મુજબ ગૌતમભાઈ રાવલ એ તેમને કહ્યું હતું કે તારી પાસે છ કરોડ લેવાના છે, એમાંથી બે કરોડ આજે નહીં આપે તો કેનાલમાં નાખી દેવાનો છે.જેથી મહેશભાઈએ જણાવેલ કે ૪૪ લાખ ૫૦ હજાર રુપીયા મારી કારમાં પડ્યા છે, એથી ગૌતમભાઈએ કહેલ કે એ તો લૂંટી લીધા છે.બીજા 55 તારા ભાઈને કહીને મંગાવી લે. એમ કહી મહેશ ભાઈના ભાઈ જીગ્નેશ ને ફોન લગાવીને મહેશભાઈને આપ્યો હતો.જેથી મહેશભાઈએ ૫૫ લાખ તેઓના પાર્ટનર પાસે અપાવ્યા હતા.આ રૂપિયા લેવા માટે વિષ્ણુભાઈ જેસંગજી ઠાકોર પહોંચ્યા હતા, અને રૂપિયા મળી ગયા બાદ ગૌતમભાઈ રાવલના માણસોએ મહેશભાઈને ટોલટેક્સ નજીક તેઓની કાર પાસે છોડી દીધા હતા.
મહેશભાઈ આ સમગ્ર ઘટનાક્રમ અંગે સાણંદ પોલીસને લેખિત અરજી આપતા પોલીસે, ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ રહે સેંધણી માતા સાણંદ, ડાયાભાઈ ખેંગારભાઈ રહે ગોરજ, વિષ્ણુભાઈ જેસંગજી ઠાકોર, રહે ગાયત્રી પાર્ક સાણંદ, તેમજ 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટના પાછળ જમીનના પૈસા ની લેતી દેતી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.આ અંગે સાણંદ પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.





Total Users : 3001
Total views : 3678
Who's Online : 0