
અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ
હું જન્મથી જ કોંગ્રેસી છું અનેક કોંગ્રેસ પાર્ટી હંમેશા મારી સાથે રહી છે, કોંગ્રેસ મારા લોહીમાં વહે છે અને હંમેશા રહેશે:જીગ્નેશ મોદી
સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી અને કડોદરા વિસ્તારના નામાંકિત સમાજ સેવક જીગ્નેશ મોદીએ કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાવાની ચર્ચાને માત્ર અફવાહ હોવાનું જણાવ્યું છે. જીગ્નેશ મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને કોંગ્રેસ પાર્ટીની સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ મારા માટે સન્માનની વાત છે. કોંગ્રેસ પાર્ટીના મૂલ્યો અને આદર્શો એ આપણા સુંદર રાષ્ટ્રના નિર્માણના પાયામાં સિંચન કર્યું છે. કોંગ્રેસ પાર્ટી એ મને હર હંમેશ પ્રેમ આપ્યો છે.જેથી હું મારી કોંગ્રેસ પાર્ટી છોડી કોઈ બીજા પક્ષમાં જવાનો નથી.
વધુમાં જીગ્નેશ મોદીએ કહ્યું કે હું સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું. જેનો મને ખૂબ ગર્વ છે.કોંગ્રેસ પાર્ટીની કાર્યશૈલી, જનતા માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમો, લોકહિત માટે પાર્ટીની લડત અવિસ્મરણીય છે.હું હર હંમેશ સુરત જિલ્લાના નાગરિકો માટે લડ્યો છું. કડોદરના નાગરીકો માટે તેમના હક તેમને પડતી દરેક પ્રકારની મુશ્કેલીઓમાં જ્યારે પણ લોકોએ મને યાદ કર્યો છે ત્યારે નિસ્વાર્થ અને નીસંકોચે મે લોકોના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવા લડત આપી છે.અને આગળ પણ મારાં સુરત જિલ્લાના નાગરીકો માટે તન મન ધનથી લડત આપતો રહીશ.
સતત 15 વર્ષ કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી તરીકે રહી લોકોની સાથે ખભેથી ખબો મિલાવી એક સાચા સમાજ સેવક તરીકે સાથ અને સહકાર આપ્યો છે. તેમ છતાં આટલા વર્ષોની મારી સેવાની કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા અવગણના કરવામાં આવી હોય તેમ મને લાગી રહ્યું હતું. જેથી નિરાશ થઈને થોડાક સમય માટે મારા મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારે કોંગ્રેસ પાર્ટીથી અલગ થવું જોઈએ. પરંતુ મારા આ નિર્ણયની જાણ સુરત જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દર્શન નાયક અને તુષાર ચૌધરીને માલુમ પડતા તેમણે તાત્કાલિક મારો સંપર્ક કર્યો હતો. અને મારાં પાર્ટી છોડવાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા સમજણ આપી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના મહામંત્રી શ્રી દર્શન નાયક અને ભૂતપૂર્વ સાંસદ અને હાલ MLA તુષાર ચૌધરી આ બંને નેતાઓ દક્ષિણ ગુજરાતના કોહિનૂર હીરા સમાન છે. અને રાજનીતિમાં મારા ગુરુ છે. તેમણે મારા પાર્ટી બદલવાના નિર્ણય ઉપર મારી સાથે ચર્ચા કરી હતી. અને મને વિશ્વાસ અપાવ્યો હતો કે જીગ્નેશભાઈ તમે કોંગ્રેસના એક સારા કાર્યકર અને એક સારા નેતા છો. લોકોને તમારા ઉપર અપાર વિશ્વાસ છે. અને લોકોના વિશ્વાસ ઉપર તમે ખરા પણ ઉતર્યા છો. પાર્ટી પણ તમારા કરેલા સંઘર્ષ અને કાર્યોને ધ્યાનમાં રાખી આવનાર સમયમાં તમને જરૂરથી મોટો હોદ્દો આપશે એવી અમને ખાતરી પણ છે. જેથી તમે તમારા પાર્ટી બદલવાના નિર્ણય ઉપર વિચાર કરો. ત્યારબાદ મને અહેસાસ થયો કે મારા રાજનીતિક ક્ષેત્રના કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ મારા ગુરુઓ જ્યારે મારા ઉપર આટલો વિશ્વાસ રાખતા હોય તો મારે પાર્ટી બદલવી જોઈએ નહીં. જેથી હું જીગ્નેશ મોદી સુરત જિલ્લા મહામંત્રી તરીકે કાર્યરત રહીશ અને હરહંમેશ સુરત જિલ્લાના નાગરિકોની સેવા કરતો રહીશ.





Total Users : 25
Total views : 93
Who's Online : 0