
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
ઉધના વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ઘટનાને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી
સુરતમાં દિવસે દિવસે ગુનેગારો બેફામ બનતા જોવા મળી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હત્યાના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક કારીગરની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ઉધના પોલીસ દોડતી થઈ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરી હત્યાનું કારણ અને હત્યારાને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2માં અવાવરૂ જગ્યાએથી એક યુવકનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ કરતાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં મૃતક 34 વર્ષીય મહેન્દ્ર શર્મા હોવાનું સામે આવ્યું હતું અને તે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીના જ એક ખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરી છે. પરંતુ આ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે હાલ તપાસ ચાલુ છે.ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, આ વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા,લૂંટ ,ચોરી ,ચીલઝડપ, સહિતના બનાવો બનતા ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.આ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0