
છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારત દેશ અને રાજ્યમાં મહિલાઓ ઉપર અત્યાચાર, હિંસા, બળાત્કાર, હત્યાં તેમજ અન્ય ઘણા પ્રકારની ઘટનાઓ બની રહી છે. તે ખુબજ ચિંતાજનક અને દુઃખદ છે. સરકાર દ્વારા મહિલાઓ ઉપર થતાં અત્યાચાર સામે અનેક નવા કાનૂની કાયદાઓ બનાવી મહિલાઓને સુરક્ષિત બનાવવા કડક પગલાંઓ ભર્યા છે. તેમ છતાં આજદિન સુધી મહિલાઓ અવારનવાર, છેડતી, દુષ્કર્મ, ઘરેલુ હિંસા, અત્યાચાર અને શોષણનો શિકાર બનતી નજરે પડી રહી છે. દિલ્હીનો નિર્ભયા સામુહિક દુષ્કર્મ તેમજ હત્યકાંડ હોય કે હાલમાંજ ગુજરાતનાં સુરતમાં બનેલ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી કરેલ હત્યાંકાંડ હોય આવા બનાવો થી સમાજમાં એક ડર ઉદભવ્યો છે. માતા પિતા પોતાની દીકરીઓની સુરક્ષાને લઈ ખુબજ ચિંતિત છે. પરંતુ સરકાર દ્વારા નાની બાળકીઓ, યુવતીઓ, અને મહિલાઓના રક્ષણ માટે ખડે પગે હાજર રહી તેની સુરક્ષા કરે છે. તેમ છતાં મહિલાઓ આવી અનિચ્છનીય ઘટનાઓની શિકાર બની જતી હોય છે.

જેથી કરીને પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર જેમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930, અભયમ 181અને 100 પોલીસ હેલ્પલાઇન નંબર છે. જે નંબર ડાયલ કરતાજ તરત પોલીસ બનાવની જગ્યાએ પહોંચી બનતા બનાવને અટકાવી શકે. તેમ છતાં ઘણા બનાવોમાં મહિલાઓ લાચાર થઈ હિંસા કે અત્યાચારનો શિકાર બની જતી હોય છે. આ સંદર્ભમાં નિર્ભયા હત્યાંકાંડ અને ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં કરાયેલી હત્યાંથી પ્રેરિત બની અમદાવાદની એક મહિલા પૂનમબેન પાંચાણીએ નાની દીકરીઓ પોતે પોતાનું સ્વરક્ષણ કરી શકે તેના માટે “સેવ હ્યુમિનિટી”
નામથી એક સંસ્થા શરુ કરી છે. જેમાં 6 વર્ષથી લઈ 24 વર્ષની દીકરીઓ અને યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. આજરોજના સેમિનારમાં દીકરીઓ અને યુવતીઓએ સંકટના સમયમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે સાયબર સેલ ટ્રેનિંગ વિશે મહત્વની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આજના યુગમાં કે જ્યાં સોશ્યલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ઉપયોગી સમજણ આપવામાં આવી હતી.
અમદાવાદના નિકોલ વિસ્તાર ખાતે આવેલા મંગલ પાંડે હોલ ખાતે શ્રીજી વિદ્યાલય અને અક્ષય હાઈસ્કૂલના સાનિધ્યમાં એક મોટો સેમિનારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 900 થી વધુ બાળકીઓ અને કોલેજમાં ભણતી યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ પ્રતિનિધિત્વ કરનારને સેવ હ્યુમિનિટી સંસ્થા તરફથી સૅનેટરી પેડ, પિઝા કુપન તેમજ ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ત્યારે કાનબા હોસ્પિટલ તરફથી “હેલ્થ કાર્ડ” આપવામાં આવ્યા હતા. આ હેલ્થકાર્ડ મેળવનારને લાઈફ ટાઈમ ફ્રી મેડિકલ ચેક અપ તેમજ દવાઓ ઉપર ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ આગેવાન મગનભાઈ રામાણી તેમજ ગુજરાત પોલીસના જાબાઝ IPS પોલીસ અધિકારી તરુણ બારોટ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત હાજર નાની બાળકીઓ અને યુવતીઓને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું શુ પહેરવું તેની સમજણ આપવામાં આવી હતી..
- ફરજીયાત દુપ્પટો પહેરવો કે સાથે રાખવો
*સ્પ્રે બોટલ સાથે રાખવી જ્યારે પ્રતિકાર કરવાનો સમય આવે તો સામે વાળા વ્યક્તિની આંખોમાં
સ્પ્રે છાંટી ભાગવાનો પ્રયાસ કરવો
*હેર પિન પહેરવી જે તમારા સ્વ બચાવમાં ઉપયોગી સાબિત થશે.
સેલ્ફ ડિફેન્સમાં કઈ તાલીમ આપવામાં આવે છે..
*માનસિક હિંમત
*મોટિવેશનલ ટ્રેનિંગ
*નખનો ઉપયોગ કરવો
*આંગળીઓ મચકોડી કાઢવી
*સેન્ટર પોઇન્ટ ઉપર એટેક કરવો
*બચકું ભરવુ અને અન્ય..
બાળકીઓ અને યુવતીઓ ઉપર થતાં બનાવો જેમાં બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસા, નોકરીની જગ્યાએ થતું શોષણ તેમજ જીવલેણ હુમલાઓ સમય માનસિકતા અને બચવાં માટે કયા પ્રયત્નો કરવા અને તેની સંપૂર્ણ સમજણ વાંચો..
સ્વરક્ષણ એટલે શું અને કઈ રીતે કરી શકાય?
સ્વરક્ષણ એટલે પોતાની સુરક્ષા પોતાને હાથે. પોતાની સુરક્ષા માટે કોઈના પર નિર્ભર રહેવા કરતા પોતાની અંદરના આત્મવિશ્વાસને જાગૃત કરી આવેલ સમસ્યા માંથી બહાર આવવું.
સ્વરક્ષણ એટલે આપણી સુરક્ષા આપના હાથે.
સ્વરક્ષણની તાલીમ આ વાત પર ખાસ ભાર મુકે છે. મુસીબતના સમયમાં કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખવા કરતા પોતે જ પોતાની મદદ કરીએ તો તે આપણા માટે વધુ હિતકારક બની રહે છે.
આપણો આત્મવિશ્વાસ એજ સાચો મિત્ર
સ્વરક્ષણની વાત આવે ત્યારે એક વાત અચૂક કરવી પડે અને તે છે ‘આત્મવિશ્વાસ’ની. આત્મવિશ્વાસ એ સુરક્ષા માટેની પહેલી કડી સમાન છે અને સ્વરક્ષણ એ આત્મવિશ્વાસ સિવાય સંભવી જ નથી શકતું. આત્મ વિશ્વાસ તમારામાં મુસીબત સામે લડવાની હિંમત જાગૃત છે. આત્મવિશ્વાસથી છલકતી વ્યક્તિ ક્યારેય હાર નથી માનતી અને સમસ્યા સામે લડ્યા જ કરે છે. આત્મવિશ્વાસ એ જ ખરેખર સુરક્ષાની પહેલી ચાવી છે.
સાહસ, હિમ્મત અને નિર્ભયતા વધારે તમારી સુરક્ષા
જયારે પણ કોઈ મહિલા કોઈ પણ પ્રકારની મુસીબતમાં મુકાય છે ત્યારે તે સ્વયંને નિઃસહાય માનવા લાગે છે અને હિંમત હારી જાય છે. જેનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. આથી જ સ્વરક્ષણ માટે સૌથી જરૂરી છે કે એક મહિલા સાહસી બને તેનામાં હિંમતનો સંચાર થાય અને તે નિર્ભય બને. સ્વરક્ષણ માટે આ ત્રણેય બાબતો ખાસ અગત્યની છે. સાહસ હશે તો કોઈ પણ સંજોગો સામે ઝઝૂમવાનું બળ મળશે. હિંમતથી કોઈ પણ સમસ્યામાંથી બહાર આવવા માટેની તકો સ્વયં ઉભી કરી શકાશે. અને નિર્ભયતા એ પોતાના માટે કંઈપણ કરી છૂટવાનું બળ આપશે. એટલે જ તો કહે છે કે જેની પાસે છે સાહસ, હિંમત અને નિર્ભયતા તે આખું જગત જીતી શકે છે.
તમારા ડરને અન્યની હિંમત ન બનવા દો
ડર એટલે કે ભય એ આફતને આમંત્રણ આપે છે. જે ડરે છે તેને જ ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આથી પોતાના ડર પર વિજય મેળવો. તમારી સુરક્ષાને તમારા હસ્તક કરો.
ધીરજ હિમ્મત અને સાહસ એ સ્વરક્ષાની ચાવી છે.
જો તમે ક્યારેય પણ કોઈપણ અણધાર્યા સંજોગોમાં મુકાઈ જાઓ તો એટલું યાદ રાખો કે તમારે જ તમારી મદદ કરવાની છે. આવા સમયે ડર્યા વગર ધીરજ અને હિંમત કેળવો અને તમે પોતાની સુરક્ષા કઈ રીતે કરી શકો તેનો વિચાર કરો. સામેવાળી વ્યક્તિને તમે પરાસ્ત કરી શકો છો તેવો વિશ્વાસ કેળવો. પોતાની સુરક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની હિંમત જ તમેન સુરક્ષિત કરી શકે છે. ડર્યા વગર યોગ્ય તકની રાહ જુઓ. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે એવી કઈ બાબતો અત્યારે તમારી સાથે છે જેનો તમે તમારી સુરક્ષા માટે ઉપયોગ કરી શકો છો. તમારી સાહસ હિમ્મત અને ચપળતા તમને સુરક્ષિત કરી શકે છે.
સુરક્ષા માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે. સ્વરક્ષણની તાલીમ તમારામાં આત્મવિશ્વાસ કેળવે છે. સ્વરક્ષણની તાલીમ લો અને સ્વયં સુરક્ષિત બનો. તમે જ તમારી સુરક્ષા માટે ખડે પગ થઇ શકો છો. ઉઠો જાગો અને સુરક્ષિત બનો. સ્વરક્ષિત બનો





Total Users : 25
Total views : 93
Who's Online : 0