
બોલીવૂડના પીઢ ફિલ્મ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું છે. 86 વર્ષના સાવનકુમાર કેટલાય સમયથી ફેફસાં સહિતની બીમારીથી પીડાતા હતા. આજે હૃદય બંધ પડી જવાથી તેમનું નિધન થયું હતું.
સાવન કુમારની સૌથી જાણીત ફિલ્મોમાં રાજેશ ખન્ના, પદ્મિની કોલ્હાપુરી અને ટીના મુનિમની સૌતન ફિલ્મનો સમાવેશ થાય છે. સાવન કુમારે એ પછી સૌતન શબ્દ પરથી કેટલીય ફિલ્મો બનાવી અને ગીતો પણ લખ્યાં હતાં. સૌતનનાં શાયદ મેરી શાદી કા ખ્યાલ દિલ મેં આયા હૈ અને જિંદગી પ્યાર કા ગીત હૈ જીસે હર દિલ કો ગાના પડેગા જેવાં તેમનાં લખેલાં ગીતો આજે પણ લોકપ્રિય છે.
સાવન કુમાર સાથે સંકળાયેલી ખાસ હકીકત એ છે કે વિખ્યાત અભિનેતા સંજીવ કુમારની પહેલી ફિલ્મ અને અભિનેત્રી મીના કુમારીની છેલ્લી ફિલ્મ સાવન કુમારની હતી. . તેમની ફિલ્મ નૌનિહાલ સંજીવ કુમારની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી અને તે માટે સંજીવ કુમારને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બીજી તરફ તેમની ફિલ્મ ગોમતી કે કિનારે મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની રહી હતી.
સાવન કુમારની ફિલ્મોમાં પત્ની ઉષા ખન્ના જ સંગીત આપતાં હતાં અને તેમની મોટાભાગની ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું હતું. નવી પેઢીના કલાકારોમાં સલમાન ખાનની સનમ બેવફા તેમની જાણીતી ફિલ્મ છે.
આ ઉપરાંત હૃતિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈનાં ગીતો પણ તેમણે લખ્યાં હતાં.





Total Users : 25
Total views : 93
Who's Online : 0