
ગુજરાતની પોલીસ ગોળીનો જવાબ ગોળીથી આપવા માટે સક્ષમ, ગુજરાતની બોર્ડરમાં આવતા ગુનેગારો ધ્રુજે છે: રાજકોટની પોલીસે સતર્ક, સમર્થ, સશકત સૂત્રને સાર્થક કર્યુ,ધાડપાડુ ગેંગનો જીવના જોખમે સામનો કરનાર એસોજી પીઆઇ જે.ડી. ઝાલા તથા તેમની ટીમનું ગૃહરાજય મંત્રીએ સન્માન કર્યુ: મુખ્યમંત્રીએ પણ અભિનંદન પાઠવ્યા,
આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈ રાજકોટ શહેરમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં રાજકોટમાં જીવના જોખમે ધાડપાડુ ગેંગનો સામનો કરી કાબિલેદાદ કામગીરી કરનાર એસોજીની ટીમના પી.એસ.આઇ સહિતનાનું સન્માન કર્યુ હતું.આ તકે ગૃહરાજય મંત્રીએ કહ્યું હતું કે, રાજકોટની પોલીસ પર સમગ્ર ગુજરાતને ગર્વ છે.
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટ એસઓજીની ટીમે જાનની પરવાહ કર્યા વગર લૂંટારું ટોળકી સામે જે રીતે બાથ ભીડી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. માટે જાંબાજ રાજકોટ પોલીસને અભિનંદન આપું છું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ પોલીસને અભિનંદન આપ્યા છે. રાજકોટની પોલીસે કરેલી આ કામગીરીથી માત્ર રાજકોટની જનતાને જ નહીં પરંતુ સમગ્ર રાજયને તેમના પર ગર્વ છે. રાજકોટની પોલીસનું જે સૂત્ર છે સતર્ક, સમર્થ અને સશકત તેને બખૂબીપૂર્વક પોલીસ જવાનો દ્રારા નિભાવવામાં આવી રહ્યું છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પોલીસ ગોળીનો જવાબ ગોળીથી આપવા માટે સક્ષમ છે. ગુનેગારો ગુજરાતની બોર્ડર ક્રોસ કરતા ધ્રુજી ઊઠે તેવી સ્થિતિ આજે નિર્માણ થઈ છે તે પાછળ આપણી ગુજરાતની પોલીસની કામગીરી કારણભૂત છે.
સાથોસાથ ગૃહમંત્રીએ એવી ટકોર પણ કરી હતી કે, ગુનાખોરીને ડામવાનું કામ કરી રહેલી પોલીસે તે બાબતનું પણ ધ્યાન રાખવું કે કયારે કોઈ નાના ગુનામાં અનાયાસે કોઈ વ્યકિત સંડોવાઈ જાય તો તેને સમાજના મુખ્ય પ્રવાહમાં ફરી પરત લાવવા માટેના પ્રયત્નો થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ગત તા.૩ના રોજ મધ્યરાત્રે અક્ષરમાર્ગ ના પટેલ પરિવારના બંગલોમાં ધાતકી શસ્ત્રો સાથે ધાડપાડુઓ ત્રાટકયા હતા. એ સમયે જ રાજકોટ શહેર એસઓજીની ટીમ બંગલો પર પરસાણા પરિવાર માટે દેવદૂત બનીને પહોંચી હતી. ધાડપાડુઓએ પોલીસ પર ધાણીફટ પથ્થરમારો કર્યેા, ત્રણત્રણ બંદૂકો તાંકી પીએસઆઈ ખેરનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં એસઓજી ટીમે જીવ જોખમ પર મુકીને ધાડપાડુઓને પકડયા હતા. જે ઘટનાની સમગ્ર રાજયમાં નોંધ લેવાઈ હતી.
દરમિયાન આજરોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા સમગ્ર પોલીસ બેડાને અભિનંદન આપ્યા હતા.તેમજ લૂંટારું ગેંગ સામે જીવ સટોસટીનો ખેલખેલી તેને દબોચી લેનાર એસ.ઓ.જી.પી.આઇ. જે.ડી.ઝાલા, પીએસઆઇ ડી.બી.ખેર, એએસઆઈ આર.ડી.વાંક, ભાનુભાઈ મિયાત્રા,હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ આહીર અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલાનું સન્માન કર્યુ હતું.




Total Users : 22
Total views : 89
Who's Online : 0