
કલેકટર કચેરીના પટાંગણમાં અફડા તફડી…
જામનગરમાં આજે કલેકટર કચેરીના સભાખંડમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અંદર બેઠક ચાલુ હતી ત્યારે બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના શરીર પર પેટ્રોલ રેડીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ભારે અફડા તફડી મચી ગઇ હતી, સીએમના બંદોબસ્તમાં હાજર રહેલા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, એસડીએમ આસ્થા ડાંગર, ડીવાયએસપી સોલંકી, ડીવાયએસપી ચાવડા તથા સીટી-બી પીઆઇ ભોયે, એલસીબી, એસઓજી સહિતનો કાફલો દોડતો થયો હતો તુરંત પોલીસ કર્મચારીઓએ દિગુભાને અટકમાં લઇને જતી વેળાએ ભારે અફડા તફડીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
શહેર કોંગી પ્રમુખે શરીર પર પેટ્રોલ છાંટતા પોલીસ દોડી : અટકાયત કરાઇ : લમ્પી વાયરસને નિયંત્રણ લેવામાં સરકાર નિષ્ફળ ગયાનો આક્ષેપ
જામનગરમાં વકરી રહેલા લમ્પી વાયરસને નિયંત્રણ લેવામાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાનમાં આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતા અને અહીંની કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી, આ બેઠક ચાલુ હતી ત્યારે બહાર શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તુરંત અટકમાં લીધા હતા, આ પ્રયાસના પગલે ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
જામનગરમાં લમ્પી વાયરસના અનુસંધાને આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો કાર્યક્રમ યોજાયો હતો, સવારે સીએમ જામનગર આવી પહોચ્યા હતા, સીએમના કાર્યક્રમના પગલે વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જામનગર આવી પહોચતા શરુ સેકશન રોડ ખાતે આવેલી કલેકટર કચેરીના સભાખંડમાં લમ્પી વાયરસ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના જોડાયા હતા.
કલેકટર કચેરી અંદર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક ચાલી રહી હતી, આ વેળાએ બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા અહીં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તુરંત દોડી જઇને તેમની પાસે પેટ્રોલવાળુ ડબલુ આંચકી લીધુ હતું અને એલસીબીની ટુકડીએ આત્મ વિલોપન પ્રયાસ કરે તે પહેલા જ સલામત રીતે અટકમાં લીધા હતા.
કલેકટર કચેરીના પટાંગણમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર પ્રમુખ દિગુભાને તુરંત અટકમાં લીધા હતા આ બનાવના પગલે થોડો સમય અહીં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો, કોંગીજનો દોડી આવ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગરમાં લમ્પી વાયરસના કારણે અસંખ્ય ગૌવંશના મૃત્યુ થતા અને સ્થાનીક તંત્રની બેદરકારી અંગેના ગંભીર આક્ષેપો દિગુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા અને આ સબંધે ઉગ્ર રજુઆત તેમના દ્વારા કરવામાં આવી હતી દરમ્યાનમાં લમ્પી વાયરસને નિયંત્રણ લેવામાં સરકાર નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 0