
મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામના વતની અને વર્ષોથી અમદાવાદ રહેતા બાબુભાઈ વેલજીભાઈ રાકાણીએ એકલા હાથે મજૂરી કરીને સર્વે સમાજને સારા-નરસા કામે ઉપયોગમાં લેવા માટે બે રૂમ નો હોલ સંડાસ -બાથરૂમ તેમજ પાણીની સવલતો સાથે તૈયાર કરીને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી રામદાસ આઠવલેના હસ્તે લોકાર્પણ કર્યું હતું.
દાતા બાબુભાઈએ વિચાર્યું કે પૈસાદાર અને મધ્યમ વર્ગના લોકો પોતાના સારા- નરસા પ્રસંગો કરવા માટે કોઈપણ સમાજવાડી કે હોલનો ઉપયોગ કરી પોતાના કાર્યો કરી લેતા હોય છે. પરંતુ આર્થિક રીતે ગરીબ પોતાના સારા- નરસા પ્રસંગે કોઈ હોલ કે સમાજવાડી ભાડે રાખી શકતા ન હોવાના કારણે ના છુટકે તેઓ પોતાના પ્રસંગો રસ્તાઓ કે શેરીઓમાં રાખીને કામ પાર પાડતા હોય છે. તેમણે મોટા દીકરા વિનોદભાઈ અને નરેન્દ્રભાઈ ને આ બાબતે વાત કરતા તેમણે પોતાના પિતાને પ્રોત્સાહન આપી અને કહ્યું કે હોલ ને બે રૂમની સવલતો સાથે તૈયાર કરીએ.
એક કરોડ અને 50 લાખના ખર્ચે હોલ સમાજના ઉપયોગ માટે તૈયાર કરી સ્વ. ભચીબેન બાબુભાઈ રાકાણીના નામે અર્પણ કરાયો હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં આર. પી. આઈ ના અધ્યક્ષ રામદાસ આઠવલેના હસ્તે સ્વ. ભચીબેન બાબુભાઈ રાકાણી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમણે બાબુભાઈ સાથે વિતાવેલી યાદો ને તાજા કરી હતી. નગરપાલિકાના પૂર્વ ચેરમેન હરેશભાઇ રાઠોડ દ્વારા દાતા નું સન્માન કરાયુ હતું.
આ શુભ પ્રસંગમાં આર. પી. આઈ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોકકુમાર ભટ્ટી તેમજ મહિલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લીલાવતીબેન વાઘેલા તથા આર. પી. આઈ ના ઉપાધ્યક્ષ ધીરુભાઈ ભાટિયા અને આર. પી. આઈ ના ગુજરાતનાં જુદા જુદા જિલ્લાના હોદ્દેદારો, સિદ્ધપુરના એડવોકેટ દિનેશભાઈ બોરેસા તેમજ દૂર દૂરથી આવીને લોકોએ હાજરી આપી હતી.પ્રસંગમાં વિનોદભાઈ રાકાણી, ધીરુભાઈ ભાટિયા,નરેન્દ્રભાઈ રાકાણી તેમજ નરેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.





Total Users : 25
Total views : 93
Who's Online : 0