
રીતેશ પરમાર
પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સંચાલકોને અભ્યાસ શરૂ કરવા સૂચના
કોરોનાના કેસમાં ઘટાડો થતાં પ્રિ-સ્કૂલ, આંગણવાડી અને બાલમંદિરો ગુરૂવારથી ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતીનું નિરીક્ષણ કરી ગુરૂવારથી ભૂલકાઓને બોલાવી અને અભ્યાસક્રમ શરૂ કરવા સંચાલકો અને આંગણવાડી કાર્યકરોને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને ત્રીજી લહેર ખતમ થવા ઉપર છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે અને ધો.1થી 5ની શાળાઓ પણ શરૂ છે. ત્યારે પ્રિ-સ્કૂલ, આંગણવાડી અને બાલમંદિર ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે વાલીઓ પાસેથી સહમતી પત્રક ભરાવવામાં આવશે અને ત્યારબાદ ભૂલકાઓને પ્રવેશ અપાશે. આ માટે સરકાર દ્વારા સંબંધિત અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને હજુ પણ ભૂલકાઓ માટે સારામાસારી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે માટે સરકાર કટિબધ્ધ છે.
કોરોનાની પ્રથમ લહેરમાં શાળા-કોલેજો અને આંગણવાડી, બાલમંદિરો બંધ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતી થાળે પડતાં શાળા-કોલેજો શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાલમંદિર, આંગણવાડી અને પ્રિ-સ્કૂલો ખોલવામાં આવી હતી નહીં. હાલ પરિસ્થિતી કાબૂમાં આવતા ભૂલકાઓના શિક્ષણને અને તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષથી આંગણવાડી, બાલમંદિરો અને પ્રિ-સ્કુલો સુમસામ હતા તે ગુરૂવારથી ભૂલકાઓની કીલકીલીયારીથી ગુંજી ઉઠશે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0