
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
ગાંધીનગર:જે હાથોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની, સમાજને સુરક્ષા આપવાની અને પીડિતોના આંસુ લૂછવાની જવાબદારી હતી, એ જ હાથોએ આજે જિંદગીની જંગ હારીને કાયમ માટે આંખો મીંચી લીધી છે. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ જહાનવી ડાભીના અણધાર્યા આત્મઘાતના સમાચારે સમગ્ર પોલીસ વિભાગ સહિત સગા-સંબંધીઓને ભારે આઘાતમાં સરી પાડ્યા છે. ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને જહાનવીએ જીવનલીલા સંકેલી લીધી, ત્યારે ખાખી વર્દીની પાછળ છુપાયેલું એક માસૂમ દર્દ હંમેશા માટે શાંત થઈ ગયું.
પરિવાર પર તૂટી પડ્યો આભ, સાથી કર્મચારીઓમાં ઘેરો શોક:-
માત્ર ૨૮ વર્ષની નાની ઉંમરે સપનાઓને પાંખો આપવાની હોય છે, પરંતુ જહાનવીના આ પગલાથી તેમના પરિવારજનો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જે દીકરીને ગર્વથી ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરતા જોઈ હતી, તેનો નિશ્ચેતન દેહ જોઈને પરિવારના આક્રંદથી પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ જાય તેમ છે. બીજી તરફ, રાત-દિવસ ફરજ પર સાથે રહેતા સાથી કર્મચારીઓ પણ આઘાતમાં છે. પોલીસ તંત્રમાં અત્યારે ચારેય તરફ ઘેરા શોકની લાગણી વ્યાપેલી છે. સૌના મનમાં એક જ સવાલ છે – “આખરે એવું તે શું દર્દ હતું જે આ ખાખી વર્દીના આત્મવિશ્વાસ કરતાં પણ મોટું નીકળ્યું?”
અંગત જીવનનો સંઘર્ષ અને પોલીસ તપાસ:-
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જહાનવી ડાભીના આશરે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા (ડિવોર્સ) થયા હતા. કદાચ અંગત જીવનની એ એકલતા અને માનસિક મૂંઝવણ તેમને અંદર જ અંદર કોરી ખાતી હતી. હાલ સેક્ટર-૭ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ હોવાથી પોલીસે જહાનવીનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) આધારે સત્ય શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
યાદ રાખો: આત્મહત્યા એ ક્યારેય છેલ્લો વિકલ્પ નથી:-
આ ઘટના સમાજ અને આપણને સૌને ફરી એકવાર વિચારતા કરી મૂકે છે. ભલે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય કે મનમાં ગમે તેટલો મોટો કચવાટ હોય, જીવન ટૂંકાવી દેવું એ ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ કે છેલ્લો વિકલ્પ નથી હોતો. આપણી પાછળ રડતા પરિવારનો એક ક્ષણ માટે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આત્મહત્યા માત્ર એક વ્યક્તિને નથી મારતી, પણ આખા પરિવારને જીવતેજીવ હોમી દે છે. મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો મન ખોલીને કોઈની સાથે વાત કરવામાં આવે અથવા કાઉન્સેલિંગની મદદ લેવાય, તો હર હમેશ કોઈને કોઈ રસ્તો જરૂર મળી રહે છે.





Total Users : 12122
Total views : 14177
Who's Online : 0