
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજકોટ રેલવેમાં આરપીએફના પીઆઇને ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા દસ દિવસથી લાપતા બન્યાનું પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મુંબઇ ખાતે ફરજ બજાવી બે વર્ષથી સજારૂપી બદલી થયેલા પીઆઇએ વતનમાં મકાન બનાવવા માટે માગેલી રજા નામંજુર થતા ગુમ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના જયપુરના વતની અને રાજકોટના કોઠારિયા રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં રહેતા આરપીએફના પીઆઇ બલરામભાઇ માનસીંગભાઇ ફોજદાર ગત તા.૬ જાન્યુઆરીએ પોતાના ઘરે ઓફિસે મિટીંગ હોવાનું કહીને નીકળ્યા બાદ જ સુધી પરત ન આવતા બલરામભાઇ ફોજદારની પત્ની અમૃતાબેન ફોજદારે ભક્તિનગર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી છે.
બલરામભાઇ ફોજદાર મુંબઇ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે એલએલબી કરવા માટે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હોવાથી તેઓ ૧૫૦ દિવસની રજા વિના ગેર હાજર રહેતા તેઓને રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી.રાજકોટ ખાતે આરપીએફમાં પીઆઇ તરીકે હાજર થયેલા બલરામભાઇ ફોજદારે પોતાના વતનમાં મકાન બનાવવા બાબતે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હતી. બીજી તરફ તેઓને પીઆઇમાંથી ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા તેઓ ગત તા.૬ જાન્યુઆરીએ ગુમ થયાનો તેમની અમૃતાબેન ફોજદારે આક્ષેપ કર્યો છે. તેમજ તેમના પતિ બલરામભાઇ ફોજદારને ઉપરી અધિકારીઓ દ્વારા ત્રાસ દેવામાં આવતો હોવાથી ભેદી રીતે લાપતા બન્યાનું જણાવ્યું છે.




Total Users : 3000
Total views : 3677
Who's Online : 0