
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ (નકલી રોયલ સ્ટેગ વ્હિસ્કી) પીવાના કારણે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને અન્ય 6 જેટલા લોકોની હાલત ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાત… જે ગાંધી અને સરદારની ભૂમિ છે, જ્યાં દાયકાઓથી કાગળ પર ‘ડ્રાય સ્ટેટ’ એટલે કે સંપૂર્ણ દારૂબંધીનો કાયદો અમલી છે. પરંતુ ભાવનગરમાંથી સામે આવેલી તાજી ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે બુટલેગરોના કાળા કારોબાર સામે કાયદાની પકડ કેટલી ઢીલી છે. ચાર મિત્રો જેઓ માત્ર એક સાંજ ગાળવા ભેગા થયા હતા, તેમને ક્યાં ખબર હતી કે ‘રોયલ સ્ટેગ’ જેવી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલમાં બુટલેગર તેમને મોતનું કેમિકલ પીરસી રહ્યો છે. દારૂ પીધાના ગણતરીના કલાકોમાં ચારેયની તબિયત લથડી અને જોતજોતામાં એક હસતો-ખેડતો પરિવાર ઉજ્જડ થઈ ગયો. એક નિર્દોષ નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ લડી રહ્યા છે.
આ કોઈ સામાન્ય ગુનો નથી, આ કાયદાના લીરેલીરા ઉડાવીને આચરાયેલું ‘સામૂહિક નરસંહાર’ જેવું કૃત્ય છે?
સૌથી મોટો સવાલ: શું સ્થાનિક પોલીસ ખરેખર અજાણ હોય છે?…
જ્યારે પણ આવો કોઈ ‘લઠ્ઠાકાંડ’ કે ‘ઝેરી દારૂકાંડ’ બને છે ત્યારે સૌથી પહેલી આંગળી સ્થાનિક પોલીસ (લોકલ પોલીસ સ્ટેશન) અને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફ ઉઠે છે. જનતાના મનમાં ઉઠતા સવાલો બિલકુલ વાજબી છે:
1.બીટ જમાદારથી લઈ PI સુધીની સાંકળ:-
પોલીસ તંત્રમાં દરેક વિસ્તાર માટે અલગ ‘બીટ’ અને બાતમીદારોનું આખું નેટવર્ક હોય છે. વિસ્તારમાં નાની અમથી ચોરી કે અસામાજિક પ્રવૃત્તિ થાય તો પણ પોલીસને ખબર પડી જતી હોય, તો પછી હજારો લીટર કેમિકલ કે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવે છે અને કોણ વેચે છે, તેની જાણ કેમ નથી હોતી?
2.કોના ઈશારે કાળો કારોબાર?: બુટલેગરો આટલા બેફામ કઈ રીતે બની શકે? શું તેમને સ્થાનિક કક્ષાએથી કોઈ ‘રાજકીય આશીર્વાદ’ કે ‘ખાખીની રહેમનજર’ મળેલી હોય છે? સિસ્ટમના ભ્રષ્ટાચારી તત્વોના ‘હપ્તાખોરી’ના ઈશારે જ આવા બુટલેગરો નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમવાની હિંમત કરી શકે છે.
3.જવાબદારી કોની?:-
આ ઘટનામાં માત્ર દારૂ વેચનાર બુટલેગર જ ગુનેગાર નથી, પરંતુ તેને છાવરનારા, તેના સુધી કેમિકલ પહોંચાડનારા અને પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવનારા સરકારી બાબુઓ અને પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે.
અતીતની એ કાળી યાદો
જ્યારે આખું ગુજરાત ધ્રૂજી ઉઠ્યું હતું:-
ભાવનગરની આ ઘટનાએ ગુજરાતના ઇતિહાસમાં બનેલી કેટલીક હૃદયદ્રાવક અને કાળઝાળ ઘટનાઓની યાદ તાજી કરાવી દીધી છે, જે દર્શાવે છે કે સિસ્ટમે ભૂતકાળના પાઠમાંથી કશું શીખ્યું નથી:
૨૦૦૯નો અમદાવાદ લઠ્ઠાકાંડ:-
ગુજરાતના ઇતિહાસનો સૌથી ભયાનક દારૂકાંડ, જેમાં અમદાવાદના મજૂર વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાથી ૧૪૦થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.એ ઘટના બાદ આખો દેશ હચમચી ગયો હતો અને સરકારે કાયદો વધુ કડક બનાવ્યો હતો.
૨૦૨૨નો બોટાદ-બરવાળા લઠ્ઠાકાંડ:-
હજુ બહુ સમય નથી થયો, બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના રોજિદ, ચોકડી અને નાભોઈ જેવા ગામોમાં મિથાઈલ આલ્કોહોલ (કેમિકલ) મિશ્રિત ઝેરી દારૂ પીવાથી ૫૦ જેટલા લોકોએ દમ તોડ્યો હતો અને અનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી હતી. એ સમયે પણ ખુલાસો થયો હતો કે ફેક્ટરીમાંથી કેમિકલ ચોરી કરીને દારૂ બનાવવામાં આવ્યો હતો.
આ તમામ ઘટનાઓમાં એક સમાન પેટર્ન જોવા મળી છે – ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારો ઉજ્જડ થાય છે, સ્ત્રીઓ વિધવા બને છે, બાળકો અનાથ થાય છે અને થોડા દિવસોની પોલીસ દોડધામ અને સસ્પેન્શનના નાટક બાદ સ્થિતિ ફરી ‘જૈસે થે’ થઈ જાય છે.
હવે આગળ શું? જનતા ક્યાં સુધી ભોગ બનશે?..
ભાવનગર જિલ્લા એસપી નિતેશ પાંડેયે રાત્રે જ પ્રેસ કોન્ફરન્સ કરીને ૩ થી ૪ બુટલેગરોને દબોચી લીધા હોવાનો દાવો કર્યો છે. પોલીસ સમગ્ર જિલ્લામાં ધામા નાખીને બેઠી છે. પરંતુ સવાલ એ છે કે, આવી તાકીદની કાર્યવાહી ઘટના બનતા પહેલા કેમ નથી થતી?
જ્યાં સુધી દારૂબંધીના કાયદાની આડમાં ચાલતું ભ્રષ્ટાચારનું નેટવર્ક નેસ્તનાબૂદ નહીં થાય, અને જ્યાં સુધી ગુનેગારોને આશરો આપનારા ‘સફેદપોશ’ આકાઓ સામે કડક કાનૂની પગલાં નહીં ભરાય, ત્યાં સુધી આવા કાળા કારનામા અને નિર્દોષોના મોતનો સિલસિલો અટકવાનો નથી. ભાવનગરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે કે હવે કાગળ પરની દારૂબંધીને જમીન પર સાબિત કરવાનો સમય આવી ગયો છે.






Total Users : 9727
Total views : 11387
Who's Online : 1